આજે પહેલી શવ્વાલ યાને ઈદ ઉલ ફિત્ર, રમઝાન માસના આકરા રોઝાની તપસ્યા બાદ અલ્લાહ તરફથી મળતું ઇનામ એટલે ઈદ ઉલ ફિત્ર. સમગ્ર ટંકારીઆ તથા પંથક આજે રમઝાન ઈદની ઉજવણી પરંપરાગત રીતે અને ધામધૂમથી કરી રહ્યું છે. એકદમ શાંત અને ખુશીભર્યા વાતાવરણમાં ઈદની ખુશીઓ એકબીજાને પાઠવી રહ્યા છે.
વહેલી સવારે બિરાદરો ઈદગાહમાં ઈદની વિશિષ્ટ નમાજ માટે એકઠા થયા હતા. દરેકના મુખે “અલ્લાહુ અકબર – અલ્લાહુ અકબર” નો ઝિક્ર થતો જોવા મળ્યો હતો. બાદમાં ઈદની નમાજ બાદ ખુત્બો અને દુઆઓનો દૌર ચાલ્યો હતો. ઇમામ સાહેબે સમગ્ર માનવજાતની ભલાઈ, શાંતિ, સોહાર્દ અને ભાઈચારાની દુઆ ગુજારી હતી. બાદમાં દરેક બિરાદરોને ગળે મળી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવતા નજરે પડ્યા હતા. ત્યારબાદ બિરાદરો પોતાના વહાલસોયા મરહુમોની કબરો પર ફૂલ અને ફાતેહા પેશ કરી સમગ્ર મરહુમો માટે મગફિરતની દુઆઓ ગુજારી હતી.
“એ અલ્લાહ…… અમારા સારા આમાલોને કબૂલ ફરમાવ, અમને કબૂલ કરાયેલા અને માફ કરાયેલા લોકોમાં સામેલ ફરમાવ, અને આ ઈદને અમારા માટે અને સમગ્ર ઉમ્મત-એ-મુહમ્મદ (ﷺ) માટે બરકત અને ખુશીનો અવસર બનાવ.” આમીન…….

આ થકી અમો તમામને ઈદ મુબારક પાઠવીએ છીએ.