Motivational Stories

આ વિભાગમાં આપણા ગામના, આપણા ગામ સાથે ખાસ વિશિષ્ટ સંબંધો ધરાવનારા આપણા સમાજના, હાલમાં જીવન જીવી રહેલા લોકો અને જેઓ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે એવા મારા-તમારા જેવા સામાન્ય લોકોમાંથી જ ખાસ બની ગયેલા લોકોના જીવનની એવી વાતો જે આપણને અને આપણી આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહે એવી હોય તેઓના વિષે લખવામાં આવશે.

(૧) કરશનભાઇ ધનજીભાઈ ચૌહાણ [રોહિત] નો વતન પ્રેમ edited by Mustak Daula & Nasir Lotiya
(૨) ખલીલ ધનતેજવી સાહેબ edited by Nasir Lotiya 
……………………………………………………………………………………………………………………………………………

(૧) કરશનભાઇ ધનજીભાઈ ચૌહાણ [રોહિત] નો વતન પ્રેમ edited by Mustak Daula & Nasir Lotiya

હેજી મારા નાનપણના ગામ, મારા બાળપણ ના ધામ, ટંકારીઆ ગામ તને કરું પ્રણામ. આ શબ્દો છે મૂળ ટંકારીઆ ગામના વતની એવા ભૂતપૂર્વ પી.એસ.આઈ. કરશનભાઇ ધનજીભાઈ ચૌહાણ [રોહિત] ના……… તેમણે ટેલિફોનિક વાર્તામાં જણાવ્યું કે : મને મારું વતન, મારુ ગામડું બહુજ વહાલું છે, મારા સપનાઓ પુરા કરવા મેં ગામ છોડી શહેર તરફ પ્રયાણ કર્યું. છતાં પણ મને મારુ ગામ હંમેશા યાદ આવતું રહે છે. બાળપણના અમૂલ્ય દિવસો જ્યાં વિતાવ્યા હોય એ દરેક યાદો મારી સાથે હંમેશા રહેતી હોય છે. બાળપણના મિત્રો, ગામની શેરીઓ, ગામનું પાદર, શાળાઓ, રમતગમત નું મેદાન, દુકાનો, બસ સ્ટેન્ડ, મસ્જિદો, રમઝાનની રોનક મારા મનમાં નાજુકાઈથી કોતરાઈ ગઈ છે. અને તેની યાદો મારા ચહેરા પર અચૂક સ્મિત લાવી આપે છે. જ્યારે કોઈક વખત કોઈ પ્રસંગે ગામની મુલાકાત લેવાનું થાય ત્યારે મારા ચહેરાની ચમક ઘણું બધું કહી જતી હોય છે. ત્યારે મારું ગામ મને જનની ની જેમ વહાલું લાગે છે. આ શબ્દો છે વર્ષો પહેલા એટલેકે ધોરણ ૧૨ ની પરીક્ષા ટંકારીઆ ગામે પાસ કરીને ૧૯૮૧ માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ ની ભરતી થયા બાદ ગામ છોડી બહાર વસવાટ કરનાર આપણા ગામના કરશનભાઇ ચૌહાણ [રોહિત] ના. ત્યાર બાદ સમયાંતરે બઢતી મળતા પી.એસ.આઈ. નો દરજ્જો પ્રાપ્ત કરી તેઓ રિટાયર્ડ જીવન વાઘોડિયા રોડ વડોદરામાં વિતાવી રહ્યા છે. સ્વભાવે એકદમ શાંત અને સાદગીભર્યા અને માનવતાવાદી કરશનભાઇ એ તેમની ફેમિલીનું વર્ણન પણ ટેલિફોન પર કરતા જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈ પીતામ્બર કે જેઓ ઓ.એન.જી.સી. માં નોકરી કરતા હતા બીજા નંબરના નગીનભાઈ પણ પોલીસ કોન્સ્ટેબલે હતા તેમના ત્રીજા ભાઈ છગનભાઇ અંકલેશ્વરમાં કંપનીમાં કામ કરતા હતા, તેમના ચોથા ભાઈ પ્રભાતભાઈ એસ.ટી. માં કંડક્ટર હતા તેમના પાંચમા ભાઈ અર્જુનભાઈ અમરોલી જિલ્લા સુરતમાં શિક્ષક હતા, છઠ્ઠા નંબર પર કરશનભાઇ અને સાતમા નંબર ના રમેશભાઈ અંકલેશ્વરમાં કંપનીમાં કામ કરતા હતા. જેમ જેમ બધા ભાઈઓને નોકરી મળતી ગઈ તેમ તેમ બધાએ ટંકારીઆ ગામ છોડી બીજે વસવાટ કર્યો છે. કરશનભાઇએ તેમના વાઘોડિયા સ્થિત રહેણાંકના મકાનમાં બહારની બાજુએ મોટા અક્ષરે “ટંકારીઆ” કોતરાવેલ છે જે તેમની ટંકારીઆ ગામ પ્રત્યેની લાગણીઓ અને પ્રેમ જાહેર કરે છે. તેઓ પોતાના વતનના લોકોએ આપેલી હૂંફ, સાથ સહકાર અને મહોબ્બત હજુ પણ વિસરી શક્યા નથી. અને ગામ ટંકારીઆ ની પ્રશંશા કરતા થાકતા નથી. વતનથી દૂર રહીને વતન પ્રત્યેનો પ્રેમ ધરાવનાર આ કરશનભાઇ ને સલામ.

કરશનભાઇ ધનજીભાઈ ચૌહાણ [રોહિત] નો વતન પ્રેમ edited by Nasir Lotiya

તમારા વતન પ્રેમની વાતો સાંભળી ખૂબ આનંદ થયો. વતન ટંકારીયા પ્રત્યે તમને કેટલો પ્રેમ છે એ કદાચ શબ્દોમાં કહેવું કઠિન પડે પરંતુ તમને આ વતન પ્રત્યે ઊંડો લગાવ છે, તમારું હૃદય વતન પ્રેમથી ભરેલું છે અને તમારું મન એ વતનને ભૂલવા માંગતું નથી એ તમારા વહેવાર પરથી જલ્દી સમજમાં આવી જાય છે. તમને વતન પ્રત્યે એટલો લગાવ છે કે તમે તમારા ઘરની દીવાલ પર ‘ટંકારીયા’ લખાવેલું છે. ગામનું નામ ‘ટંકારીયા’ વાંચીને એની યાદો તાજી થતી રહે, અને એ યાદો ક્યાંક ભુલાય ના જાય એવી તમારી દિલી તમન્ના છે. આપની વ્યથા સમજી શકાય એવી છે. આપના સિવાય ટંકારીયાના કોઈ ગ્રામજને પોતાના ઘરનું નામ પોતાના ગામ, વતનના નામ ઉપરથી ટંકારીયા રાખ્યું હોય એવું અત્યાર સુધી અમારા ધ્યાનમાં આવ્યું નથી. આપ આ બાબતમાં ગામના પહેલા વ્યક્તિ છો જે આપનો વતન પ્રત્યેનો ખાસ પ્રેમ દર્શાવે છે.

ગલ્ફના દેશોમાં કે અમેરીકામાં રજાના દિવસોમાં જ્યારે અમે બધા અલગ અલગ ગામના લોકો/મિત્રો ભેગા મળતા તો ક્યારેક કોઈ ખાસ વિષયની ચર્ચા થતી હોય ત્યારે બધા પોત-પોતાના ગામની ખૂબીઓ ગણાવવામાં લાગી જતા. દરેક વ્યક્તિ પોતાનું ગામ બીજા ગામ કરતાં વિશેષ મહત્વ ધરાવતું અનોખું ગામ છે એવી બધાંને પ્રતીતિ કરાવવા અનેક દલીલો કરતા. અમેરિકામાં તો મેં જોયું છે કે સામાન્ય વાતચીતથી શરૂ થયેલી વાતોમાં એક પછી એક નવી નવી દલીલો એમાં ઉમેરાતી જતી અને અંતે એ દલીલો ખરેખરનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી. આ બધી વાતો પાછળ દરેકનો પોતાના વતન પ્રત્યેનો પ્રેમ છુપાયેલ હોય છે, જે સ્વભાવગત લક્ષણ પણ છે. વતન પ્રેમ એ એક વિશેષ દરજ્જાનો પ્રેમ છે કદાચ એટલે જ એના વિશે કવિઓએ, લેખકોએ, ધર્મગુરુઓએ ઘણું લખ્યું છે. ઇસ્લામ ધર્મમાં પણ વતનપ્રેમ વિષયક અનેક જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે. દરેકને પોતાનું વતન પ્યારું હોય છે, પરંતુ એમાં તમારી જેમ કેટલાકનો વતનપ્રેમ સવિશેષ હોય છે, ઊંચા દરજ્જાનો હોય છે. તમારા જેવા વતનપ્રેમીઓની ખૂબ ચર્ચા પણ થાય છે. વતન પ્રેમની વાત આવે તો આદિલ મન્સૂરી સાહેબને બધા સૌથી પહેલા યાદ કરે એનું કારણ એ છે કે એમની વતનપ્રેમની અભિવ્યક્તિમાં કરુણતા છલકાય આવે છે. એમની વાતો દિલના ઊંડાણમાંથી નીકળેલી છે એવું જલ્દી સમજમાં આવી જાય છે. અનેક વખત એમની એ પ્રખ્યાત ગઝલ આપણે બધાએ સાંભળી છે છતાં વારંવાર આપણને તે સાંભળવાનું મન થાય છે. દેશનિકાલની કાતિલ ક્ષણ જ્યારે એમના માથા પર આવી પડી હતી અને અનિચ્છાએ, ફરજિયાત અમદાવાદ છોડી પાકિસ્તાન રહેવા જવું પડે એવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું હતું ત્યારે છેલ્લી રાતોમાં છેલ્લી ચીસની જેમ એ ગઝલ એમણે લખી હતી. આ અત્યંત કઠિન સમયે તેમનું મન કેટલું વ્યાકુળ હતું એ એમની પંક્તિઓમાં અંકિત થયેલ વેદનામાં પ્રગટ થાય છે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા ; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર , આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

કાનૂની પ્રક્રિયા પૂરી થતાં સદનશીબે દેશનિકાલની કાતિલ સજા પાછળથી તળી ગઈ હતી અને તેઓ પોતાના પ્યારા વતન અમદાવાદમાં જ રહ્યા હતા.

અમદાવાદમાં ઘણા વર્ષોનું આનંદમય જીવન વિતાવ્યા પછી કુટુંબ સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. અમેરીકામાં રહેતા હતા ત્યારે ત્યાં પણ એમનું મન લાગતું ન હતું. રાત દિવસ વતનની યાદોના સહારે એમણે દિવસો પસાર કર્યા હશે એવું આ પંક્તિઓમાં પ્રગટ થાય છે:

કાલે પાછા ચાલ્યા જાશું ,નક્કી કાલે પાછા,
કાલે કાલે કરતાં કરતાં જર્શીમાં વર્ષો કાઢ્યાં.

વતનના પ્રેમનું આવું દર્દ સાથે રાખી જીવન જીવેલા, વતનની ધૂળ પોતાના માથામાં ભરી લેવાની ઈચ્છા ધરાવતા એ વતન પ્રેમીને વતનની બહાર અમેરીકામાં દફન થવાનો સમય જ્યારે નજીક આવ્યો હશે ત્યારે એમનું દિલ ખૂબ હતાશ થયું હશે, ખૂબ રડયું હશે. ભગ્ન હૃદયે એમણે આ ફાની દુનિયાને અલવિદા કીધું હશે.

કરશનભાઇ, વતનથી દૂર થયા પછી વતનની યાદ વધુ સતાવે છે. તમારા ઘરના લોકો મારફત અમને જાણવા મળ્યું કે તમે ટંકારીયાની યાદોની સતત વાતો કરતા રહો છો, તમારા મિત્રો કહે છે, “કરશનભાઇ ટંકારીયાની વાતો કરતાં થાકતા નથી”. તમે વતનની યાદો સાથે જીવી રહ્યા છો, અમે તમારા વતનના લોકો તમને યાદ કરતા રહીશું અને એના પ્રયાસરૂપે જ અમે તમારા વતન પ્રેમની વાતોને આપણા ગામની વેબસાઈટ પર લખી એને સાચવી લીધી છે. તમે એટલા નસીબદાર છો કે વતનથી બહુ દૂર રહેતા નથી. વડોદરામાં રહો છો એટલે વતનની યાદ સતાવે ત્યારે ગામમાં આવતા-જતા રહેજો અને અમને બધાનેય મળતા રહેજો.

“આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા ? ”

 

(૨) ખલીલ ધનતેજવી સાહેબ edited by Nasir Lotiya.   

સંપાદનની તારીખ : ૬ એપ્રિલ ૨૦૨૧

“હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.”

ખલીલ ધનતેજવી સાહેબ, તારીખ ૪ એપ્રિલ ૨૦૨૧ ને રવિવારના રોજ વહેલી સવારે આ ફાની દુનીયા છોડી ગયા છે. તેમનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામે થયો હતો. તેઓ ખુબ જાણીતા સાહિત્યકાર, ગુજરાતી ઉર્દુના ગઝલકાર, પત્રકાર, લેખક, નવલકથાકાર, સુપ્રસિધ્ધ સમાચાર પત્રોના કટાર લેખક, કોલમ લેખક, સહતંત્રી, તંત્રી, સંપાદક, ફિલ્મી સામયિકના રિપોર્ટર, ફિલ્મોના લેખક અને દિગ્દર્શક હતા. મૂળ ધનતેજ ગામના ખેડૂત જીવ માંથી કવિ જીવ બનેલા ખલીલ ધનતેજવી બીડી પીવાના શોખીન હતા એવું કહું એના કરતાં તેઓ સાદગીના પ્રતિક હતા એવું કહીશ. 

સાદગીના આ ગઝલકારના ગુજરાતી ગઝલ સંગ્રહોમાં સ થી શરૂ થતો ‘સાદગી’ ગઝલ સંગ્રહ સૌ પ્રથમ હતો. ત્યારપછી સારાંશ, સરોવર, સોગાત, સાયબા, સાંવરિયો, સૂર્યમુખી, સગપણ, સોપાન, સારંગી, અને સમગ્ર જેવા ગઝલ સંગ્રહો પ્રસિધ્ધ થયેલા. શાયદ અને ધીરે બોલ નામથી તેમના ઉર્દૂ-હિંદી ગઝલ સંગ્રહો પણ પ્રસિધ્ધ થયેલા. ‘ભજનની ચોપડી’ થી તેમણે લખવાની શરૂઆત કરી હતી. તેમણે ડૉ. રેખા, તરસ્યાં એકાંત, સુંવાળો ડંખ, સફેદ પડછાયા, સળગતો બરફ, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, સન્નાટાની ચીસ, લીલા પાંદડે પાનખર, સાવ અધૂરા લોક, લીલોછમ તડકો જેવી નવલકથાઓ લખી છે.

તેમને કલાપી  પુરસ્કાર, અમૃતા પુરસ્કાર, મેઘાણી પુરસ્કાર, હીરેન્દ્ર દવે લાઈફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર, વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત કરાયો હતો. (ઉમેરો : વર્ષ ૨૦૨૨ માં ખલીલ સાહેબને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.) આટલી બધી ખૂબીઓ ધરાવતા ખલીલ ધનતેજવી સાહેબે કેવળ ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું એવું કહું તો જેઓ એમનાથી પરિચિત નથી એમને એવું લાગે કે મને આ ઉનાળાની ગરમીની અસર થઈ છે. ખલીલ સાહેબ એવી યુનિવર્સીટીમાં ભણ્યા હતા જે યુનિવર્સીટીનું નામ ખલીલ હતું. આ યુનિવર્સીટીમાં ખલીલે, ખલીલને ખુબ ભણાવ્યો હતો. ખલીલ પ્રોફેસર ખલીલ વિદ્યાર્થીને બરાબર ભણાવતા રહ્યા હતા. તેમણે લખાયેલા સર્ટીફીકેટ વગરની પીએચડીની એવી પદવી મેળવી હતી કે તેમના જીવનના અભ્યાસથી બે વિદ્યાર્થીઓ પીએચડીની અને બે વિદ્યાર્થીઓ એમફિલની પદવી મેળવી ચુક્યા છે.

એમની કારકિર્દી કથા/આત્મકથા ‘સોગંદનામું’ આપણને બધાંને હિંમતથી જીવન જીવી જવાની પ્રેરણા આપતી રહેશે. એમણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. તકલીફોનું નિરાકરણ પરિવર્તનથી લાવનારા એ કર્મભૂમિના યોધ્ધા હતા. ક્યારેક ખેતીમાં તો ક્યારેક કપડાંની ફેરી કરવામાં એમણે નાનમ નહોતી અનુભવી. તેમની આત્મકથા ‘સોગંદનામું’ના વાંચનથી  જાણવા મળે છે કે તેઓ ધનતેજ ગામ છોડીને વડોદરા રહેવા આવ્યા ત્યારે રૂપિયા માટે લોકોને અનાજ વેચીને આવ્યા હતા; તેઓ ૨૭ રૂપિયા તેમની સાથે લઇને વડોદરા રહેવા આવ્યા હતા. પછી મુઠ્ઠીભર અનાજ ખરીદવા તેઓ પોતે જયારે કતારમાં ઉભા હતા ત્યારે એમણે એમની એ પ્રખ્યાત ગઝલ “અબ મેં રાશન કી કતારોં મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું.”  લખી હતી. તેઓ ૫ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. એમના પિતા એમના દાદાના એકમાત્ર સંતાન હતા જેથી એમના ઉછેરની જવાબદારી એમના દાદાએ નિભાવી હતી. પિતાના અવસાનનો ઘા ભરાય એ પહેલાં એમના ભાઈ અને બહેન અવસાન પામ્યા હતા. કુટુંબના વર્ણનમાં ખલીલ સાહેબ વધુમાં જણાવે છે કે પતિ અને પોતાના બે નાના બાળકોના અકાળે થયેલા અવસાનના ગમ ના કારણે અને ઘરની અત્યંત વિકટ પરિસ્થિતિનો બોજ સહન ન થવાના કારણે એમની માતાનો સ્વભાવ ખુબ ચીડિયો થઈ ગયો હતો. એમના માતા એમના દાદા સાથે ઝઘડો કરતા રહેતા હતા. દાદા એટલા નરમ સ્વભાવના હતા કે જો ઘરના ખાટલા સાથે અથડાય જાય તો ખાતલાનીય માફી માંગે એવા. કુટુંબની વિષમ પરિસ્થિતિઓને કારણે તેઓ ૭ વર્ષે શાળામાં ભણવા બેથા હતા. ૪ ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી આગળ ભણવું હોય તો બીજેગામ જવું પડે. બહારગામ જાય તો ખેતી કરનાર કોઈ ના રહે તેથી ખેતીમાં લાગી ગયા. કોઈક કવિએ લખેલી કવિતાની પંક્તિઓ ખલીલ ધનતેજવી સાહેબના પિતાશ્રીએ ચોકથી તેમના ઘરમાં ઉંચાઈ પર લખી રાખી હતી, આ પંક્તિઓ તેમણે વાંચી હતી. તેમના દાદાએ એમને એવી પણ માહિતી આપી હતી કે એમના પિતા ગઝલ/કવિતાનો ખુબજ શોખ ધરાવતા હતા. આ ઉપરાંત ખેતરમાં કામ કરતા મજૂરોના પગના ચીરા જોઈ ખલીલ સાહેબ ખુબ દુઃખી થતા. પોતાના, પોતાના કુટુંબીજનોના, સાથે કામ કરતા લોકોના જીવનની હાડમારીઓ, બચપણમાં પિતાનું ત્થા ભાઈ અને બહેનનું મૃત્યું જેવી બાળમાનસમાં ભેગી થયેલી આ બધી સંવેદનાઓની અભિવ્યક્તિઓ ગઝલ સ્વરૂપે બહાર આવવા લાગી હતી. ખલીલ સાહેબ કહે છે “પહેલી પંક્તિ જ્યારે મનમાં આવી ત્યારે કલમના બદલે હાથમાં દાતરડું હતું.”
આ બધી સંવેદનાઓ જીવનભર એમની સાથે રહી જે સમયે-સમયે ગઝલોના રૂપમાં બહાર આવતી ગઈ.

“ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો…
…ભીંત ફાડીને ઊગયો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો”

આપણા ટંકારીયા ગામના વડવાઓની જેમ જીવનની મુશ્કેલીઓના કારણે એમની ભણવાની તમન્નાએ પોતાની અને કુટુંબની ભૂખ સામે હાર સ્વીકારવી પડી હોઈ એવું ભલે લાગતું હોય, પરંતુ આમ હાર માને એવા કાચા મનના તેઓ ન હતા. ખલીલ સાહેબને ૫૬ વર્ષની વયે ઍટેક આવ્યો હતો. એ પછી તેમને પાંચ વાર ઍટેક આવ્યા હતા. એમણે ત્રણ વાર ઍન્જિયોપ્લાસ્ટિ પણ કરાવી હતી. તેમના પત્ની બીમાર પડયા ત્યારે અઢળક નાણા ખર્ચીને તેમને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ તેમને બચાવી શક્યા ન હતા. તેઓ હિંમત હારી જાય એવા ન હતા. એમની બીજી વિશેષતાઓમાં તેમનો પહાડી અવાજ, એમનો અંદાઝે બયાં હંમેશા યાદ રહેશે. એમની ઘણી ગઝલો એમના જીવનની ઘટનાઓ/હાડમારીઓ આધારિત હતી જેને તેઓએ એટલી સરળતાથી રજુ કરી કે એમની ગઝલો લોકોના હ્રદય સુધી ખુબ સરળતાથી પહોંચી ગઈ અને તેથીજ તેમને ક્યારેય સામેથી દાદ માંગવાની જરૂરત ન પડી. તેઓ ગઝલો મોઢે રાખતા એટલે એને મુશાયરાઓમાં લખીને લાવવાની પણ એમને જરૂરત ન રહેતી. એમણે એમના બાળકોને ગ્રેજ્યુએટ, પીએચડી સુધી ભણાવ્યા છે. ખલીલ સાહેબ કહે છે “મારા ઘરમાં બધા ભણેલા છે ફક્ત હું એકલો જ અભણ છું”. એમના લખાણો અને ગઝલોમાં નોંધાયેલ કેટલીક માર્મિક ટિપ્પણીઓ ખુબ ઊંડી હોય વાંચવામાં ખુબ મજા આવતી હોય છે. એમની સેન્સ ઓફ હ્યુમર ઊંચા દરજ્જાની હતી.

અઝીઝ ટંકારવી સાહેબની TV 9 ગુજરાતી સાથેની વાતચીતથી એ જાણવા મળ્યું કે ૧૯૭૫માં ટંકારીયામાં મુશાયરાનો કાર્યક્રમ હતો. વાવાઝોડા જેવા પવનના વેગના કારણે રસ્તામાં ઝાડ પડી ગયેલા એટલે વાહનવ્યવહાર બંધ થઇ ગયેલો. ખલીલ ધનતેજવી સાહેબ પાલેજથી ટંકારીયા સુધીનું ૯ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને આવ્યા હતા. સાહિત્યપ્રેમી ટંકારીયા ગામના મુશાયરાઓમાં મિત્રો સાથે મારી હાજરી ચોક્કસ હોય એટલે ખલીલ સાહેબની ટંકારીયા ગામમાં થયેલી એ પહેલી મેહ્ફીલનો હું પણ ચોક્કસ સાક્ષી રહ્યો હશે એવું માનું છું. ખલીલ સાહેબને ટંકારીયા ગામ અને ગામના સાહિત્યકારો સાથે સારા સબંધો હતા. 

કોરોના મહામારીના આ વિકટ સમયમાં જયારે આપણે આપણા વ્હાલા કુટુંબીજનોને અકાળે આ દુનિયાથી વિદાય લેતાં જોઈ રહ્યા છે ત્યારે અને તકલીફો/યાતનાઓની બીજી મુશ્કેલ ઘડીઓમાં, ખલીલ સાહેબનું જીવન, એમની મનોવ્યથા, એમની આત્મકથા, મુશ્કેલ સમયની એમની પહાડી અડગતા, એમના ગયા પછી એમના બાકી રહેલા પહાડી અવાજ સાથેના હિંમતથી ભરેલા શબ્દો, ગમે તેવા વિકટ સમયમાં આપણું મનોબળ સચવાય રહે એ માટે આપણું માર્ગદશન કરી હિંમત આપવાનું કામ કરતા રહેશે. અલ્લાહ મર્હુમની મગફિરત ફરમાવી જન્નતમાં ઉંચો મકામ આપે એવી દિલી  દુઆઓ છે. નીચેની બે પંક્તિઓ મને એમના જીવન અને મરણનું સચોટ પ્રતિબિંબ હોય એવી લાગી છે.

“અપની જગહ સે કેસે પર્વત હિલ જાએ?
ચાહે મેરી જાન જાએ ચાહે મેરા દિલ જાએ”

ધનતેજ નું ધન તેજ થઇ ગયું.

5 Comments on “Motivational Stories

  1. Really Khalil Saheb was a great great poet in Gujarati literature. May Allah SWT grant him in place of Jannah. Aameen

  2. Heart warming and really moving piece of article on Khalil Saheb. Jazakallah. I have had opportunity to listen to him in Tankaria. His poetry had such an impact and listening to it in his unique voice was a whole different level of experience. His passing is a huge loss to Gujarati literature community. May Allah SWT grant him a place in Jannat ul Firdaus. Aameen.

  3. મહેક ટંકારવી સાહેબ, ઈકબાલભાઈ ધોરીવાલા, રફીકભાઈ કડુજી, અનવરભાઈ ખાંધિયા. કોમેન્ટ/મેસેજમાં લખેલા શબ્દો માટે આપ સૌનો આભાર.
    ખલીલ સાહેબની દિલની વેદનાઓને, એમના જીવનની ઘટનાઓ અને હાડમારીઓને એટલી સરળતાથી એમણે ગઝલોમાં રજૂ કરી કે એમની એ ગઝલો લોકોના હૃદય સુધી ખૂબ જ સરળતાથી પહોંચી ગઈ અને તેથી જ મુશાયરાઓમાં તેમને ક્યારેય સામેથી દાદ માંગવાની જરૂર ન પડી. તેમની છબી અને શૈલી દિલ અને દિમાગમાં હંમેશા અંકિત રહેશે.
    (૧) ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
    ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી…
    …જેમાં સૌને પોતપોતાની છબી દેખાય ના,
    એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી…
    (૨) અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
    તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
    વાર તહેવારે જીદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
    મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે…
    (૩) મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
    આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી…
    …આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
    કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી…
    (૪) મારા પરસેવાની લીલા તો જુઓ,
    ભર ઉનાળે લીલોછમ થાતો રહ્યો,
    તમને ચોમાસુ પણ ભીંજવી ના શક્યું,
    હું ઉનાળામાં પણ ભીંજાતો રહ્યો…
    (૫) લય વગર, શબ્દો વગર, મત્લા વગર
    હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર
    તેં તો તારો છાંયડો આપ્યો મને
    હું જ ના જંપી શકયો તડકા વગર…
    (૬)…નથી અમે કંઈ અમારા ઘરમાં ઉછીનું અજવાળું લઈને બેઠા,
    અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે…
    …અમારા જખ્મો, અમારી પીડા, અમારી બીમારી ત્યાંની ત્યાં છે,
    તબીબ પાસે જવાબ માગો, દવાને પૂછો શું પૂછવું છે…
    અને છેલ્લે એમની ખુબ પ્રખ્યાત થયેલ ગઝલની પંક્તિઓ…
    (૭) સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
    કાંકરા નાખીને કૂંડાળા ન કર
    લોક દિવાળી ભલેને ઊજવે,
    પેટ બાળીને તું અજવાળા ન કર
    આજથી ગણ આવનારી કાલને,
    પાછલાં વરસોના સરવાળા ન કર…
    …ક્યાંક પથ્થર ફેકવાનું મન થશે,
    ઈંટને તોડીને ઢેખાળા ન કર…
    અનેક ખૂબીઓ અને આગવી શૈલીના માલિક ખલીલ ધનતેજવી જેવા બીજા કોઈ ગઝલકાર ફરી ભવિષ્યમાં આપણને સાંભળવા મળશે તો ખૂબ આનંદ થશે.

  4. બહુ સરસ નાસીરહુસૈન. તમારા આવાં સુંદર વિવિધ વિષયો પર લખાતા રહેતાં લખાણોથી ટંકારીઆ વેબસાઇટને એક નવીન દિશા મળી છે. ધન્‍યવાદ. લખવાનું ચાલુ રાખશો. ખલીલ સાહેબ સાથે ઘણાં મુશાયરાઓમાં દેશમાં અને અહીં યુ.કે.માં પણ ભાગ લેવાના અવસરો સાંપડયા હતા. એમની ઉર્દૂ અને ગુજરાતીમાં લખાયેલી ગઝલો જેટલું વાંચવાનું ગમે એટલું જ એમના ઘેઘૂર અવાજમાં સાંભળવાનું પણ ગમે છે. એેમનો એે પહાડી અવાજ ગઝલપ્રેમીઓના કાનમાં લાંબા સમય સુધી પડઘાતો રહેશે. ખૂબ જ સીધા સાદા સરળ માનવી. મુશ્કેલીઓમાં પણ ખૂબ જ હિંમતથી જીવી ગયા અને આપણને પણ અડીખમ રહી મુસીબતોનો સામનો કરવાનું શીખવી ગયા છે. અલ્લાહ પાક મગફેરત ફરમાવે.

    માટીની કાયાનો તો નિશ્ચિત હતો અંતિમ મુકામ
    ઓઢીને માટીની ચાદર માટીમાં ઢબૂરાઇ ગઇ
    એ હતી પ્‍યાસી ને દર્શનની અભિલાષી હતી
    લઇ મિલનની આશ આંખો પણ ‘મહેક’ મીંચાઇ ગઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*