1. કારકિર્દી માર્ગદર્શન- તમારી સફળતાનો પાયો.

2. CAREER GUIDANCE: BUILDING YOUR PATH TO SUCCESS

3. કારકિર્દી: ઓઈલ એન્ડ ગેસ, રીફાઇનરી, સ્ટેડીયમ અને એરપોર્ટ (બાંધકામ અને ઓપરેશન)

ગુજરાતી અને અંગ્રેજીમાં કારકિર્દી માર્ગદર્શનના પુસ્તકો ડાઉનલોડ કરવા ઉપરની લિંક પર ક્લિક કરો.
Click on the link above to download career guidance books in Gujarati and English.

 


Full Video | WBVF ટંકારીઆ | પુસ્તક વિમોચન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ | સંપૂર્ણ વિડિયો | Tankaria Career Guidance & Book Launch

Video Part 1
તિલાવતે કુરાન, ઝાકીરભાઈ ઉમતા દ્વારા સ્વાગત પ્રવચન, મુખ્ય મહેમાન શ્રી દેવરાજ ચોધરીને મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માન,  કાર્યક્રમના સંચાલક ડૉ. મહંમદ જલેબીયાની પ્રેરણાદાયી વાતો તથા WBVFના વિવિધ પ્રોજેક્ટ્સ અંગેની માહિતી. ડૉ. મહંમદ જલેબીયા.
તિલાવતે કુરાન, ઝાકીરભાઈ ઉમતા દ્વારા સ્વાગત પ્રવચન તથા WBVFના પ્રોજેક્ટ્સ અંગેની માહિતી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરો. 

Video Part 2
WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ જનાબ નાસીર પટેલનું પ્રવચન, કારકિર્દી માર્ગદર્શનના બે પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન, લેખક નાસીર્હુસેનને મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માન, લેખક નાસીરહુસેન લોટીયાનું પ્રવચન, WBVFના શિક્ષણ સમિતિના વડા જનાબ ઈસ્માઈલ પટેલનું પ્રવચન, કાર્યક્રમના અધ્યક્ષ જનાબ આદમભાઈ આબાદનગરવાળાનું અધ્યક્ષીય પ્રવચન તથા જનાબ યુનુસભાઈ ખાંધિયા દ્વારા આભારવિધિ.
પુસ્તકોના વિમોચન તથા વિવિધ પ્રવચનો જોવા માટે આ લિંક પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરો.

Video Part 3
શ્રી દેવરાજ ચોધરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન
શ્રી દેવરાજ ચોધરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિષયક પ્રેરણાદાયી પ્રવચન. આ લિંક પર ક્લિક કરો.


ટંકારીઆ: ૧૩ જૂન ૨૦૨૬

સમાજના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ, શિક્ષણ અને યુવા સશક્તિકરણના પવિત્ર હેતુ સાથે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન (WBVF) દ્વારા શનિવારે ટંકારીઆ ખાતે ભવ્ય કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ, બે મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન પુસ્તકો ‘કારકિર્દી માર્ગદર્શન: તમારી સફળતાનો પાયો’ અને ‘Career Guidance: Building Your Path to Success’ નું વિમોચન તેમજ ટંકારીઆ વિસ્તારના ૩૨ ગામોના નાગરિકોને વિવિધ સેવાઓ ઘરઆંગણે વધુ સુચારુ રીતે ઉપલબ્ધ થાય એ પ્રાથમિક હેતુ સાથે સ્થાપિત WBVF બ્લોક ઓફિસ (CSC સેવા કેન્દ્ર)ના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંચાલકો, આચાર્ય સાહેબો, શિક્ષકો, વાલીઓ, સંસ્થાઓના ટ્રસ્ટીઓ/હોદ્દેદારો, સમાજના આગેવાનો તથા મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સેવા, શિક્ષણ અને યુવા વિકાસની ત્રિવેણી સમાન આજના ત્રણ કાર્યક્રમો પૈકીના પ્રથમ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ટંકારીઆના ‘અલકરીમ શોપિંગ સેન્ટર’ ખાતે નવી સ્થાપિત WBVF બ્લોક ઓફિસ (CSC સેવા કેન્દ્ર)ના લોકાર્પણથી થઇ હતી. આ સમારોહમાં ‘ટંકારીઆના મૂકસેવક’ (Behind-the-scenes worker), વયોવૃદ્ધ, અંગ્રેજી ભાષાના નિષ્ણાંત, હાઇસ્કૂલના રીટાયર્ડ આચાર્ય જનાબ એમ.ડી. રખડા સાહેબ દ્વારા WBVFની સમગ્ર ટીમ અને હાજરજનોની હાજરીમાં નવી ઓફિસનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાફેજ મહંમદ ઇકબાલ ભુતા દ્વારા પવિત્ર કુરઆન શરીફની તિલાવત પછી હાફેજ સલીમ વાંતરસાવાળા દ્વારા ફાતેહા પઢી દુઆઓ કરી હતી જેણે વાતાવરણને રૂહાની બનાવી દીધું હતું.

ત્યારબાદ મુસ્તફાબાદ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા પુસ્તક વિમોચન અને કારકિર્દી માર્ગદર્શનના અન્ય બે કાર્યક્રમોની શરૂઆત જામે મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી દ્વારા પવિત્ર કુરઆન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો. સમારંભના અધ્યક્ષ તરીકે આદમભાઇ આબાદનગરવાળાની નિમણુંક કરવામાં આવી હતી.

ત્યારબાદ ટંકારીઆના માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો અને વિદ્યાર્થીઓનું પોતાના આગવા અંદાજમાં હાર્દિક શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે WBVF ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આદમભાઇ આબાદનગરવાળા અને ઇકબાલભાઇ પાદરવાળા, ગુજરાત સરકારના નિવૃત્ત સચિવ ઉસ્માન પટેલ સાહેબ, ટંકારીઆના વતની અને હાલ અમદાવાદ ખાતે નિવાસી એવા નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર મુસ્તાક ઘોડીવાલા સાહેબ, PMETના ટ્રસ્ટી મહંમદભાઈ ભાયજી, ટંકારીઆના અગ્રણી અઝીઝ ટંકારવી સાહેબ, સામાજિક અગ્રણી અબ્દુલભાઈ કામઠીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે WBVF દ્વારા શિક્ષણ, આરોગ્ય, સમાજકલ્યાણ, યુવા વિકાસ અને માનવસેવાના ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રેરણાદાયી ઝાંખી વિશાળ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલે કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે અને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન દરેક વિદ્યાર્થીનો અધિકાર છે.” તેમણે જણાવ્યું હતું કે, આજના ઝડપથી બદલાતા યુગમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, પરંતુ નવીન ટેકનોલોજી, વ્યવહારુ કૌશલ્યો, સંવાદક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ અને સતત શીખવાની વૃત્તિ જ યુવાનોને વૈશ્વિક સ્પર્ધામાં સફળ બનાવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે WBVFનું ધ્યેય માત્ર સેવાકીય પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વિદ્યાર્થી સુધી ગુણવત્તાયુક્ત કારકિર્દી માર્ગદર્શન, શિક્ષણ અને વિકાસની તકો પહોંચાડવાનું છે. સમાજનો કોઈપણ વિદ્યાર્થી માત્ર યોગ્ય માહિતીના અભાવે પોતાની પ્રતિભાથી વંચિત ન રહે, તે માટે WBVF સતત કાર્યરત છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના રસ, ક્ષમતા અને લક્ષ્યને ઓળખી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તેમજ જીવનભર શીખતા રહેવાની પ્રેરણા આપી હતી.

ત્યારબાદ ટંકારીઆના વતની, લેખક અને કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે કાર્યરત નાસીરહુસેન લોટીયા દ્વારા લખાયેલા તેમજ WBVF દ્વારા પ્રકાશિત થયેલા ‘કારકિર્દી માર્ગદર્શન: તમારી સફળતાનો પાયો’ અને ‘Career Guidance: Building Your Path to Success’ એમ બે મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ ક્ષણે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો અને ઉપસ્થિત સૌએ ઉભા થઇ આ ઐતિહાસિક પ્રસંગને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો હતો.

આ પ્રસંગે લેખન, શિક્ષણ અને યુવા માર્ગદર્શન ક્ષેત્રે આપેલા તેમના નોંધપાત્ર યોગદાનની કદરરૂપે WBVF દ્વારા નાસીરહુસેન લોટીયાને પ્રતિષ્ઠિત “AUTHOR EXCELLENCE AWARD” એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહાનુભાવો અને શ્રોતાઓએ હર્ષભેર બિરદાવ્યું હતું.

પુસ્તક વિમોચન બાદ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં નાસીરહુસેન લોટીયાએ જણાવ્યું હતું કે યોગ્ય, વિશ્વસનીય અને સમયોચિત માહિતીના આધારે કારકિર્દીની પસંદગી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પોતાના જીવનની દિશા વધુ સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને દૂરંદેશી સાથે નક્કી કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોને આ બંને પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરીને પોતાના જ્ઞાનમાં વધારો કરવા, યોગ્ય કારકિર્દીનું આયોજન કરવા અને ઉજ્જવળ તેમજ સફળ ભવિષ્યનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પુસ્તકોમાં માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ નોકરી અને રોજગારની તકો શોધી રહેલા યુવાનો માટે પણ અલગથી માર્ગદર્શક વિભાગો સમાવાયા છે, જેથી જીવનના વિવિધ તબક્કે કારકિર્દી સંબંધિત યોગ્ય માર્ગદર્શન એક જ સ્થળે મળી રહે.

પુસ્તકોમાં UPSC, GPSC, SSC, NEET, JEE, CUET, GCAS, TET/TAT સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની વિસ્તૃત, પ્રમાણભૂત અને અદ્યતન માહિતી સરળ ભાષામાં કાળજીપૂર્વક રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, શિષ્યવૃત્તિઓ, ઉચ્ચ શિક્ષણની તકો તથા રોજગારલક્ષી કારકિર્દી વિકલ્પોની ઉપયોગી માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ પુસ્તકોને એક વિશ્વસનીય અને સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શિકા બનાવે છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન જાણીતા મોટિવેશનલ સ્પીકર દેવરાજ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને અત્યંત અસરકારક અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારસરણી, સમયનું અસરકારક સંચાલન, લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા અને સતત મહેનત દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અંગે અનેક પ્રેરણાદાયી ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આજના આ કાર્યક્રમમાં WBVF દ્વારા શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

WBVF એજ્યુકેશન કમિટીના હેડ ડૉ. ઇસ્માઈલ પટેલે હળવા અને રસપ્રદ અંદાજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમને ઉત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ આદમભાઈ આબાદનગરવાલાએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં WBVF દ્વારા શિક્ષણ, યુવા વિકાસ અને સમાજકલ્યાણ માટે કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તેમજ વિદ્યાર્થીઓને સતત જ્ઞાનાર્જન, મૂલ્યનિષ્ઠ જીવન અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ અને જીવંત સંચાલન WBVF Career Guidance Cellના પ્રોજેક્ટ હેડ ડૉ. મુહમ્મદ જલેબીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના અસરકારક સંચાલન દરમિયાન વિદ્યાર્થીઓને સ્પષ્ટ લક્ષ્ય, યોગ્ય આયોજન, દૂરંદેશી વિચારસરણી અને સતત પ્રયત્નોના મહત્વ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી સમગ્ર કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો.

કાર્યક્રમના અંતે યુનુસભાઈ ખાંધિયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આયોજકો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દુઆ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી આયોજન, કૌશલ્ય વિકાસ, નવી તકો અને જીવનમાં સફળતા માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સાથે જ WBVF દ્વારા શિક્ષણ, યુવા સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની અસરકારક ઝલક ઉપસ્થિત સૌને જોવા મળી હતી.

 


Student Motivation and Career Guidance 13 June 2026 Tankaria. WBVF

PDF ફાઈલ ડાઉનલોડ કરવા ઉપરની લિંક પર ક્લિક કરો. 

સમગ્ર રાજ્યમાં લાબું ઉનાળુ વેકેશન પૂરું થતા ૮મી જૂનથી રાજ્યભરની તમામ શાળાઓના દ્વાર ખુલી ગયા છે. છેલ્લા ૩૫ દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરા ને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭નો ઉત્સાહભેર પ્રારંભ થઇ ચુક્યો છે. શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે ટંકારીઆની વિવિધ શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓનું શાળાઓમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના સહાઘ્યાયીઓને તથા શિક્ષકોને મળવાનો અનોખો આનંદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સામાન્ય રીતે નાના નાના બાળકો સ્કૂલમાં જવા માટે રડતા રડતા જતા જોયા છે પરંતુ આ વખતે તો ચિત્ર કંઈક જુદું જ જોવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ રડવાને બદલે હસતા હસતા શાળાના પ્રાંગણમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. આમ શાળાઓમાં નવા સત્રના શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે.

ધોરણ ૧૦, ૧૧, ૧૨ના આમંત્રિત વિદ્યાર્થીઓ તથા તાજેતરમાં ધોરણ ૧૨ પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ

ઉપરોક્ત આમંત્રણ પત્રિકામાં દર્શાવ્યા મુજબ WBVF Tankaria Team દ્વારા તા. ૧૩ જૂન, ૨૦૨૬ (શનિવાર)ના રોજ મદ્રસા હોલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ટંકારીઆની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ (આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ)ના વિદ્યાર્થીઓ ઉપરાંત સિતપોણ, કંબોલી અને વરેડિયાના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને જે-તે શાળા મેનેજમેન્ટ મારફત આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ટંકારીઆ હાઇસ્કૂલમાંથી વર્ષ ૨૦૨૬ અથવા ૨૦૨૫માં ધોરણ ૧૨ (આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સ)ની પરીક્ષામાં સફળ થયેલા અને હાલમાં વિવિધ કોલેજોમાં પ્રવેશ અંગેની કામગીરી કરી રહ્યા હોય અથવા NEET-2026ની પુનઃપરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેવા તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે.

કાર્યક્રમમાં સુરતના જાણીતા કારકિર્દી માર્ગદર્શક, પ્રેરણાદાયી વક્તા અને શિક્ષણવિદ્ શ્રી દેવરાજ ચૌધરી સહિતના અનુભવી નિષ્ણાતો ઉપસ્થિત રહી વિશાળ LED સ્ક્રીનના માધ્યમથી માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વિવિધ તકો, પ્રવેશ પ્રક્રિયાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કારકિર્દી આયોજન અને ભવિષ્યની સંભાવનાઓ અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત થશે.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યોગ્ય દિશા, સચોટ માહિતી અને નવી પ્રેરણા પૂરી પાડવાનો છે.

આથી, શાળા મેનેજમેન્ટ દ્વારા આમંત્રિત વિદ્યાર્થીઓ ઉપરાંત ટંકારીઆ હાઇસ્કૂલના ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આ કાર્યક્રમનો લાભ લેવા ખાસ તાકીદ કરવામાં આવે છે. બીજા ગામોમાં રહેતા આપના વર્ગના સહાધ્યાયી મિત્રોને ફોન કરી જાણ કરશો. સમય અને સંજોગો અનુકૂળ રહેશે તો પસંદગીના વિદ્યાર્થીઓ માટે વન-ટુ-વન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

NIZAM MAHEBUBMASTER KHANDHIYA [NEPHEW OF ISHAKMASTER KHANDHIYA] passed away at Bharuch. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Nannumiya Kbarastan – Mohmedpura – Bharch after ASR prayer. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. The deceased was suffering from cancer. May ALLAH [SWT] provide Sabre Jamil to his entire family.