Full Video | WBVF ટંકારીઆ | પુસ્તક વિમોચન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ | સંપૂર્ણ વિડિયો | Tankaria Career Guidance & Book Launch


1. કારકિર્દી માર્ગદર્શન- તમારી સફળતાનો પાયો.

2. CAREER GUIDANCE: BUILDING YOUR PATH TO SUCCESS

3. કારકિર્દી: ઓઈલ એન્ડ ગેસ, રીફાઇનરી, સ્ટેડીયમ અને એરપોર્ટ (બાંધકામ અને ઓપરેશન)

ગુજરાતી અને અંગ્રેજીમાં કારકિર્દી માર્ગદર્શનના પુસ્તકો ડાઉનલોડ કરવા ઉપરની લિંક પર ક્લિક કરો.
Click on the link above to download career guidance books in Gujarati and English.

 


Full Video | WBVF ટંકારીઆ | પુસ્તક વિમોચન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ | સંપૂર્ણ વિડિયો | Tankaria Career Guidance & Book Launch

Video Part 1
તિલાવતે કુરાન, ઝાકીરભાઈ ઉમતા દ્વારા સ્વાગત પ્રવચન, મુખ્ય મહેમાન શ્રી દેવરાજ ચોધરીને મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માન,  કાર્યક્રમના સંચાલક ડૉ. મહંમદ જલેબીયાની પ્રેરણાદાયી વાતો તથા WBVFના વિવિધ પ્રોજેક્ટ્સ અંગેની માહિતી. ડૉ. મહંમદ જલેબીયા.
તિલાવતે કુરાન, ઝાકીરભાઈ ઉમતા દ્વારા સ્વાગત પ્રવચન તથા WBVFના પ્રોજેક્ટ્સ અંગેની માહિતી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરો. 

Video Part 2
WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ જનાબ નાસીર પટેલનું પ્રવચન, કારકિર્દી માર્ગદર્શનના બે પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન, લેખક નાસીર્હુસેનને મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માન, લેખક નાસીરહુસેન લોટીયાનું પ્રવચન, WBVFના શિક્ષણ સમિતિના વડા જનાબ ઈસ્માઈલ પટેલનું પ્રવચન, કાર્યક્રમના અધ્યક્ષ જનાબ આદમભાઈ આબાદનગરવાળાનું અધ્યક્ષીય પ્રવચન તથા જનાબ યુનુસભાઈ ખાંધિયા દ્વારા આભારવિધિ.
પુસ્તકોના વિમોચન તથા વિવિધ પ્રવચનો જોવા માટે આ લિંક પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરો.

Video Part 3
શ્રી દેવરાજ ચોધરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન
શ્રી દેવરાજ ચોધરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિષયક પ્રેરણાદાયી પ્રવચન. આ લિંક પર ક્લિક કરો.


ટંકારીઆ: ૧૩ જૂન ૨૦૨૬

સમાજના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ, શિક્ષણ અને યુવા સશક્તિકરણના પવિત્ર હેતુ સાથે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન (WBVF) દ્વારા શનિવારે ટંકારીઆ ખાતે ભવ્ય કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ, બે મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન પુસ્તકો ‘કારકિર્દી માર્ગદર્શન: તમારી સફળતાનો પાયો’ અને ‘Career Guidance: Building Your Path to Success’ નું વિમોચન તેમજ ટંકારીઆ વિસ્તારના ૩૨ ગામોના નાગરિકોને વિવિધ સેવાઓ ઘરઆંગણે વધુ સુચારુ રીતે ઉપલબ્ધ થાય એ પ્રાથમિક હેતુ સાથે સ્થાપિત WBVF બ્લોક ઓફિસ (CSC સેવા કેન્દ્ર)ના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સંચાલકો, આચાર્ય સાહેબો, શિક્ષકો, વાલીઓ, સંસ્થાઓના ટ્રસ્ટીઓ/હોદ્દેદારો, સમાજના આગેવાનો તથા મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સેવા, શિક્ષણ અને યુવા વિકાસની ત્રિવેણી સમાન આજના ત્રણ કાર્યક્રમો પૈકીના પ્રથમ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ટંકારીઆના ‘અલકરીમ શોપિંગ સેન્ટર’ ખાતે નવી સ્થાપિત WBVF બ્લોક ઓફિસ (CSC સેવા કેન્દ્ર)ના લોકાર્પણથી થઇ હતી. આ સમારોહમાં ‘ટંકારીઆના મૂકસેવક’ (Behind-the-scenes worker), વયોવૃદ્ધ, અંગ્રેજી ભાષાના નિષ્ણાંત, હાઇસ્કૂલના રીટાયર્ડ આચાર્ય જનાબ એમ.ડી. રખડા સાહેબ દ્વારા WBVFની સમગ્ર ટીમ અને હાજરજનોની હાજરીમાં નવી ઓફિસનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાફેજ મહંમદ ઇકબાલ ભુતા દ્વારા પવિત્ર કુરઆન શરીફની તિલાવત પછી હાફેજ સલીમ વાંતરસાવાળા દ્વારા ફાતેહા પઢી દુઆઓ કરી હતી જેણે વાતાવરણને રૂહાની બનાવી દીધું હતું.

ત્યારબાદ મુસ્તફાબાદ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા પુસ્તક વિમોચન અને કારકિર્દી માર્ગદર્શનના અન્ય બે કાર્યક્રમોની શરૂઆત જામે મસ્જિદના ઇમામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી દ્વારા પવિત્ર કુરઆન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો. સમારંભના અધ્યક્ષ તરીકે આદમભાઇ આબાદનગરવાળાની નિમણુંક કરવામાં આવી હતી.

ત્યારબાદ ટંકારીઆના માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો અને વિદ્યાર્થીઓનું પોતાના આગવા અંદાજમાં હાર્દિક શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે WBVF ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આદમભાઇ આબાદનગરવાળા અને ઇકબાલભાઇ પાદરવાળા, ગુજરાત સરકારના નિવૃત્ત સચિવ ઉસ્માન પટેલ સાહેબ, ટંકારીઆના વતની અને હાલ અમદાવાદ ખાતે નિવાસી એવા નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર મુસ્તાક ઘોડીવાલા સાહેબ, PMETના ટ્રસ્ટી મહંમદભાઈ ભાયજી, ટંકારીઆના અગ્રણી અઝીઝ ટંકારવી સાહેબ, સામાજિક અગ્રણી અબ્દુલભાઈ કામઠીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે WBVF દ્વારા શિક્ષણ, આરોગ્ય, સમાજકલ્યાણ, યુવા વિકાસ અને માનવસેવાના ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રેરણાદાયી ઝાંખી વિશાળ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલે કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે અને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન દરેક વિદ્યાર્થીનો અધિકાર છે.” તેમણે જણાવ્યું હતું કે, આજના ઝડપથી બદલાતા યુગમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, પરંતુ નવીન ટેકનોલોજી, વ્યવહારુ કૌશલ્યો, સંવાદક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ અને સતત શીખવાની વૃત્તિ જ યુવાનોને વૈશ્વિક સ્પર્ધામાં સફળ બનાવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે WBVFનું ધ્યેય માત્ર સેવાકીય પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વિદ્યાર્થી સુધી ગુણવત્તાયુક્ત કારકિર્દી માર્ગદર્શન, શિક્ષણ અને વિકાસની તકો પહોંચાડવાનું છે. સમાજનો કોઈપણ વિદ્યાર્થી માત્ર યોગ્ય માહિતીના અભાવે પોતાની પ્રતિભાથી વંચિત ન રહે, તે માટે WBVF સતત કાર્યરત છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના રસ, ક્ષમતા અને લક્ષ્યને ઓળખી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તેમજ જીવનભર શીખતા રહેવાની પ્રેરણા આપી હતી.

ત્યારબાદ ટંકારીઆના વતની, લેખક અને કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે કાર્યરત નાસીરહુસેન લોટીયા દ્વારા લખાયેલા તેમજ WBVF દ્વારા પ્રકાશિત થયેલા ‘કારકિર્દી માર્ગદર્શન: તમારી સફળતાનો પાયો’ અને ‘Career Guidance: Building Your Path to Success’ એમ બે મહત્વપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ ક્ષણે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો અને ઉપસ્થિત સૌએ ઉભા થઇ આ ઐતિહાસિક પ્રસંગને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો હતો.

આ પ્રસંગે લેખન, શિક્ષણ અને યુવા માર્ગદર્શન ક્ષેત્રે આપેલા તેમના નોંધપાત્ર યોગદાનની કદરરૂપે WBVF દ્વારા નાસીરહુસેન લોટીયાને પ્રતિષ્ઠિત “AUTHOR EXCELLENCE AWARD” એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહાનુભાવો અને શ્રોતાઓએ હર્ષભેર બિરદાવ્યું હતું.

પુસ્તક વિમોચન બાદ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં નાસીરહુસેન લોટીયાએ જણાવ્યું હતું કે યોગ્ય, વિશ્વસનીય અને સમયોચિત માહિતીના આધારે કારકિર્દીની પસંદગી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પોતાના જીવનની દિશા વધુ સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને દૂરંદેશી સાથે નક્કી કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોને આ બંને પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરીને પોતાના જ્ઞાનમાં વધારો કરવા, યોગ્ય કારકિર્દીનું આયોજન કરવા અને ઉજ્જવળ તેમજ સફળ ભવિષ્યનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પુસ્તકોમાં માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ નોકરી અને રોજગારની તકો શોધી રહેલા યુવાનો માટે પણ અલગથી માર્ગદર્શક વિભાગો સમાવાયા છે, જેથી જીવનના વિવિધ તબક્કે કારકિર્દી સંબંધિત યોગ્ય માર્ગદર્શન એક જ સ્થળે મળી રહે.

પુસ્તકોમાં UPSC, GPSC, SSC, NEET, JEE, CUET, GCAS, TET/TAT સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની વિસ્તૃત, પ્રમાણભૂત અને અદ્યતન માહિતી સરળ ભાષામાં કાળજીપૂર્વક રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, શિષ્યવૃત્તિઓ, ઉચ્ચ શિક્ષણની તકો તથા રોજગારલક્ષી કારકિર્દી વિકલ્પોની ઉપયોગી માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ પુસ્તકોને એક વિશ્વસનીય અને સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શિકા બનાવે છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન જાણીતા મોટિવેશનલ સ્પીકર દેવરાજ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને અત્યંત અસરકારક અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારસરણી, સમયનું અસરકારક સંચાલન, લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા અને સતત મહેનત દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અંગે અનેક પ્રેરણાદાયી ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આજના આ કાર્યક્રમમાં WBVF દ્વારા શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

WBVF એજ્યુકેશન કમિટીના હેડ ડૉ. ઇસ્માઈલ પટેલે હળવા અને રસપ્રદ અંદાજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમને ઉત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ આદમભાઈ આબાદનગરવાલાએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં WBVF દ્વારા શિક્ષણ, યુવા વિકાસ અને સમાજકલ્યાણ માટે કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તેમજ વિદ્યાર્થીઓને સતત જ્ઞાનાર્જન, મૂલ્યનિષ્ઠ જીવન અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ અને જીવંત સંચાલન WBVF Career Guidance Cellના પ્રોજેક્ટ હેડ ડૉ. મુહમ્મદ જલેબીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના અસરકારક સંચાલન દરમિયાન વિદ્યાર્થીઓને સ્પષ્ટ લક્ષ્ય, યોગ્ય આયોજન, દૂરંદેશી વિચારસરણી અને સતત પ્રયત્નોના મહત્વ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી સમગ્ર કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો.

કાર્યક્રમના અંતે યુનુસભાઈ ખાંધિયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આયોજકો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દુઆ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી આયોજન, કૌશલ્ય વિકાસ, નવી તકો અને જીવનમાં સફળતા માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સાથે જ WBVF દ્વારા શિક્ષણ, યુવા સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની અસરકારક ઝલક ઉપસ્થિત સૌને જોવા મળી હતી.

 


Student Motivation and Career Guidance 13 June 2026 Tankaria. WBVF

PDF ફાઈલ ડાઉનલોડ કરવા ઉપરની લિંક પર ક્લિક કરો. 

5 Comments on “Full Video | WBVF ટંકારીઆ | પુસ્તક વિમોચન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ | સંપૂર્ણ વિડિયો | Tankaria Career Guidance & Book Launch

  1. Salams Nasirbhai, Mashaallah I have watched the video. First of all I would like to say Congratulations to you on the launch of your book on career guidance. Mashaallah this is a remarkable achievement, and you should be very proud of it as we all tankarvies very proud of you. Your book is a fantastic contribution to the community. Mashaallah the way you break down everything in this book is exactly what people need and we can see how much heart, research, and dedication you have poured into this. Inshaallah this book is going to change careers and lives. You have done with pure intentions so inshaallah your book will reach countless readers and make a lasting positive impact.

    At last I make sincere dua that may Allah SWT accept your khidmat and grant you better reward. Ameen….

    I also loved your inspirational speech specially when you said (પોતાની અંદર ની ક્ષમતા ને ઓળખવી). This is a very powerful statement for any individual to do something in life.

    Jazakallah

  2. માશા અલ્લાહ, તબારકલ્લાહ.
    ખુબ ખુબ મુબારકબાદ નાસિર સાહેબ. આપના પર મને, સમગ્ર ગામવાસીઓને ગર્વ છે. અલ્લાહ તઆલા આપને ખુબ તરક્કી આપે, સમાજહિતના કામો કરવાની વધુ શક્તિ, કૌશલ્ય અર્પે. આપના માટે, આપ જેવા સમાજના heroes માટે મેં ચાર પંક્તિ હમણાં જ઼ લખી છે, જે આપને અર્પણ. સમગ્ર સમાજ વતી આપનો ખુબ ખુબ આભાર, જઝાકુમુલ્લાહ. અલ્લાહ તઆલા આપને તંદુરસ્તી સહિત લાંબુ આયુષ્ય અતા કરે.

    તારૂં હોવું એ રીતે સાબિત કરી બતાવ,
    તારા થકી સમાજને વિકસિત કરી બતાવ.
    તું જ઼ ખયરુન્નાસ છે, અગર તંફઉન્નાસ,
    લોકહિતમાં જાતને અર્પિત કરી બતાવ.

    (ત્રીજી લાઈન અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની હદીસનો ભાવાર્થ છે.)

  3. આદરણીય નસીમભાઈ નબીપુરી સાહેબ,
    અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.
    આપે મારા વિશે જે પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને ઉદાર શબ્દો વ્યક્ત કર્યા છે, તે બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ જેવા વરિષ્ઠ લેખક, એક એક સામયિકને, પુસ્તકને, પેપરને આખે-આખું ધ્યાનથી વાંચનારા સાહિત્યપ્રેમી અને મુદ્રણ ક્ષેત્રના દાયકાઓના અનુભવી અને એક્સપર્ટ વ્યક્તિત્વના મુખેથી મળેલી આ પ્રશંસા મારા માટે કોઈપણ પુરસ્કાર કરતાં જરાય ઓછા નથી.
    ‘કારકિર્દી માર્ગદર્શન’ના ગુજરાતી અને અંગ્રેજી બંને પુસ્તકો તૈયાર કરવામાં જે પ્રયત્ન થયો છે, તે સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેની એક નાનકડી સેવા માત્ર છે. જો આ પુસ્તકો એક પણ વિદ્યાર્થીને યોગ્ય દિશા બતાવવામાં સફળ થશે, એક પણ કુટુંબનો દીકરો કે દીકરી આ માધ્યમથી માર્ગદર્શન મેળવી સફળ થઈ કુટુંબનો સહારો બનશે તો લેખક તરીકે મારી વર્ષોની તૈયારી, રાતોના ઉજાગરા અને પ્રકાશક તરીકે અમારી WBVF ની સમગ્ર ટીમનો અમૂલ્ય સહકાર સાર્થક ગણાશે. WBVF ની ટીમના અમૂલ્ય સહયોગ અને પ્રોત્સાહને પણ મને આ કામ કરવાની હિંમત આપી. આ કાર્યમાં સૌનો સમાન હિસ્સો અને યોગદાન છે.
    આપે મારા માટે જે દુઆઓ કરી છે, તે અલ્લાહ તઆલા કબૂલ ફરમાવે અને મને સમાજ તથા શિક્ષણ ક્ષેત્રની વધુ સારી સેવા કરવાની તૌફીક અતા કરે, એવી દિલથી દુઆ કરું છું. અલ્લાહ તઆલા આપને પણ દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત ખિદમત કરવાની તાકાત બક્ષે. આમીન.
    ફરી એકવાર આપના અમૂલ્ય આશીર્વાદ, પ્રેરણાદાયી શબ્દો અને શુભેચ્છાઓ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર.
    વસ્સલામ,
    નાસીરહુસેન લોટીયા.

  4. શુભેચ્છા પત્ર
    આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી દેવરાજ સાહેબ, અઝીઝ ટંકારવી સાહેબ, વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના પ્રમુખ સાહેબ તથા અન્ય કારોબારી સભ્યો, માનવંત મહેમાનો અને શ્રોતાગણ …

    આજે જયારે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના સહયોગથી માનનીય નાસીરભાઈ લોટીયા સાહેબ લિખિત અને સંપાદિત પ્રકાશન ‘કેરિયર ગાઈડન્સ બુક’ ની ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિના વિમોચન પ્રસંગે આપ સૌને જણાવવાનું કે આ પ્રકાશનો માટે નાસીરહુસેન સાહેબે ખુબ જ મહેનત કરી છે. …કેટલા ઉજાગરા કર્યા હશે …કંઇક વખત તો જમવાનો ટાઇમ પણ ચૂકી ગયા હશે…બુક લખાણમાં અને પ્રકાશિત કરવામાં કેટલી તકલીફ પડતી હોય છે એ ‘અઝીઝ સાહેબ’ અને મને પૂછો… અઝીઝ સાહેબ તો ગુજરાત ટુડે જેવી માતબર સંસ્થા સાથે જોડાયેલા છે, અને અત્યાર સુધીમાં એમણે ઘણાં પુસ્તકો લખ્યા છે તેમ પ્રકાશિત પણ કર્યા છે. પુસ્તક પ્રકાશનમાં લાખના બાર હજાર થતા હોય છે… મારી તો આખી લાઈફ પ્રેસ લાઈન માં જ નીકળી ગઈ છે ….ખૈર…

    આ બે પુસ્તકો ભાવિ વિદ્યાર્થીઓ માટે એટલાં જરૂરી બની રહેશે જેટલાં કે આજના વિદ્યાર્થીઓ માટે જરૂરી છે….આ પુસ્તકો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માર્ગદર્શક બની રહેશે…

    જે વિદ્યાર્થીઓ ભણવા માટે ઉત્સાહી છે એમને માટે નાસીરહુસેન સાહેબ સાચા કોલંબસ બન્યા છે અને એમણે શૈક્ષણિક ક્ષેત્ર માટે શોધ કરીને આપના સૌ ઉપર ઉપકાર કર્યો છે…અને કેટલાક એવા છે કે નહીં ભણવા માટે જુદાજુદા બહાનાં કાઢવા ખોટા કોલંબસ બને છે… આપણે સૌ એમનું ઋણ સ્વીકારી એમને અગણિત શુભેચ્છાઓ પાઠવીએ ….

    હવે વિષય બદલીએ…

    નાસીરહુસેન માણસાઈના માણસ છે… માણસાઈ એમના જીવનમાં ભરી ભરીને પડી છે…જે વ્યક્તિમાં માણસાઈ હોય એ વ્યક્તિમાં મોહબ્બત પણ હોવાની જ… એ સંવેદનશીલ પણ ખૂબ જ છે.

    આજના આ કળિયુગમાં માણસાઈનો દુકાળ છે…માનવી સ્વાર્થી બની ચૂક્યો છે. દરેક વસ્તુમાં પોતાનો જ સ્વાર્થ જુએ છે એવા સમયે નાસીરહુસેન પોતાના વતન માટે નિસ્વાર્થ કામ કરી રહ્યા છે તે માટે એમનું એક મોટું અહેસાન આપણા સૌ ઉપર બની રહેશે…અને તેનો ઉપકાર આપણાંથી કદીય ચૂકવી શકાશે નહીં એમ મને લાગે છે.

    ખૈર, આપણે સૌ અલ્લાહ તઆલાથી દુઆ ગુજારીએ કે અલ્લાહ તઆલા એમના આ નેક કામ માટે બદલો આપે, આમીન.
    વધુમાં આ કાર્યક્રમને સ્પોન્સર કરવા બદલ વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનનો પણ આભાર…અને આપ સૌ આમંત્રિત ભાઈઓ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી અત્રે પધાર્યા તે બદલ આપ સૌ નો પણ આભાર.

    નસીમ નબીપુરી
    કલા મુદ્રણાલય, પટેલ સુપર માર્કેટ, ભરૂચ.

  5. Many congratulations Nasir Bhai..

    We truly appreciate your efforts and hard work to guide our youth and to uplift the community thru education and learning.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*