ગતરોજ શમી સાંજે ટંકારીઆ તથા પંથકમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને વરસાદ પણ પડ્યો હતો જેને પગલે છત પર મુકેલા પતરાઓ ઉડી જવા પામ્યા હતા. અને મોટા મોટા વૃક્ષો મૂળ માંથી ઉખડી ગયા હતા જેને પગલે ભારે નુકશાન થયું હતું. વીજ થાંભલાઓ પણ જડમૂળમાંથી તૂટી જવા પામતા વીજ પુરવઠો ખોરવાયો હતો. તદુપરાંત ટંકારીઆ સીતપોણ – ટંકારીઆ અડોલ – ટંકારીઆ કંબોલી તરફ જતા મુખ્ય માર્ગો પર મોટા મોટા વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થઇ ગયા હતા પરંતુ ટંકારીઆ ગામના સરપંચ તથા નવયુવાનોએ યુદ્ધના ધોરણે આ પડી ગયેલા વૃક્ષોને માર્ગ પરથી હટાવવાનું કાર્ય કરી તમામ માર્ગોને તાત્કાલિક ચાલુ કરી દીધા હતા અને વીજ પુરવઠા માટે ગામના ૬૦ જેટલા નવયુવાનોએ વીજ કર્મચારીઓ સાથે કદમ થી કદમ મિલાવી સાથ સહકાર આપી વીજ પુરવઠો પણ ચાલુ કરાવી દેતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ૨૦ મિનિટ ચાલેલા આ વાવાઝોડાએ લોકોના જીવ ઊંચા કરી દીધા હતા.