1 21 22 23 24 25 877

તા. ૨૬ જાન્યુઆરીના રોજ પુસ્તક વિમોચન, સન્માન સમારંભ, ભવ્ય ગુજરાતી મુશાયરાના કાર્યક્રમ દુનિયાભરમાં જીવંત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયામાં ૫૦૭૪ લોકોએ આ પ્રોગ્રામ નિહાળ્યો. જેમાં દુનિયાભરમાં અનેક લોકો આ પ્રોગ્રામને જીવંત જોઈ રહ્યા હતા અને પોતાનો અભિપ્રાય ચાલુ કાર્યક્રમમાં આયોજકો સાથે સતત શેર કરી રહ્યા હતા. નમૂના રૂપ નીચે આપવામાં આવેલ ફોટોમાં આપણા ગામના સાહિત્યપ્રેમી, રમતગમતપ્રેમી અને ખુબ સક્રિય એવા હાજી અબ્દુલસત્તાર નગીયા સાહેબ ઝામ્બિયામાં રહીને ખુબ આતુરતાપૂર્વક કાર્યક્રમ નિહાળતા નજરે પડે છે. આ તબક્કે જેઓના શુભેચ્છા સંદેશાઓ અમને મળ્યા છે એ તમામના અમો દિલથી શુક્રગુજાર છીએ. આ સંદેશાઓ, ઓડિયો વીડિયો કોલ કરનારા સાહિત્યપ્રેમીઓની  નામોની યાદી ઘણી લાંબી હોવાને લઈને અત્રે મૂકી શકતા નથી એ માટે માફ કરશો.

ગતરોજ ઉર્સ એ સૈયદ એટલેકે કિછૌછા મુકામે આરામ ફરમાવી રહેલા મોહદ્દીસ એ આઝમે હિન્દ [રહ.] ના વાર્ષિક ઉર્સની ઉજવણી ૧૬ રજબ ના રોજ કરવામાં આવે છે. જે અંતર્ગત ગત રવિવારના રોજ ટંકારીઆ ગામે પણ ઉર્સની ઉજવણી કરાઈ હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા મસ્જીદે મુસ્તુફાઇય્યાહ ટંકારિયામાં ખત્મે કુરાનખાની તથા ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અકીદતમંદોએ મોટી સંખ્યામાં હાજરી આપી ફૈઝીયાબ થયા હતા.

મરે છે બધા, જીવે છે કેટલા…
ઓ જિંદગી તને ઉજવે છે કેટલા?___ડો. રઈશ મનીઆર.

તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવારના રોજ ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆમાં વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવિ, ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક એવા ડો. રઈશ મનીઆર તથા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મહામંડળના લેખિકા હર્ષવીબેન પટેલ હાજર રહ્યા હતા. ડો. રઈશ મનીઆર અને હર્ષવીબેન પટેલની કૃતિઓ ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામેલ છે. તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હોય ટંકારીઆ ગામમાં મુશાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમનો કિંમતી સમય વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ફાળવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના આચાર્ય ગુલામ પટેલે ડો. રઈશ મનીઆર, હર્ષવીબેન પટેલ, માજી સરપંચ ઝાકીર ઉમટા, નાસીરહુસૈન લોટીયા, ઇસ્માઇલભાઈ ખૂણાવાલાની વિદ્યાર્થીઓને ઓળખ કરાવી મહેમાનોને આવકાર્યા હતા. આ તબક્કે ડો. રઈશ મનીઆરની બે પ્રખ્યાત ગઝલોની પંક્તિઓ ટાંકી પોતાના પ્રવચનને ટૂંકાવી આચાર્ય ગુલામસાહેબે સમયનો સદ્દઉપયોગ થાય એ બાબતને ધ્યાનમાં રાખી ડો. રઈશ મનીઆરને વક્તવ્ય માટે આમંત્રિત કર્યા હતા.

ડો. રઈશ મનીઆરે પોતાના ૪૦ મિનિટના ધારદાર વક્તવ્યમાં સચોટ ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને જીવન અને કારકિર્દીના પાઠો ભણાવ્યા હતા. તેમણે શિક્ષણને તણાવમુક્ત રહીને આનંદની સાથે ગ્રહણ કરવા માટે અમૂલ્ય સૂચનો કર્યા હતા. જેમાં તેમણે ટીનએજર અવસ્થા એ જીવનની દશા અને દિશા બદલનાર અવસ્થા હોય બાળકોએ આ સમયગાળાને ખાસ મહત્વ આપી પોતાના જીવનના ઘડતર માટેના આ સમયગાળામાં સજાગ રહેવાની સલાહ આપી હતી. ભવિષ્યનો વધારે પડતો વિચાર કરીને વર્તમાનમાં જીવવાનું ભુલાવી દે એવી તાણવાળી જિંદગીથી બચવાના ખાસ ઉપાયો સૂચવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શિખામણ આપી હતી કે, બીજા વિદ્યાર્થી સાથે પોતાની સરખામણી કરીને તણાવ અનુભવવા કરતા પોતાના જ અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે પોતાના જીવનના અનુભવોનો નિચોડ, સચોટ દ્રષ્ટાંતો ટાંકી વિદ્યાર્થીઓ અને હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.

શુક્રવાર તા.૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાત્રે ૯ કલાકે ટંકારીઆ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે પુસ્તક લોકાર્પણ , સન્માન સમારંભ અને ભવ્ય ગુજરાતી મુશાયરાનું આયોજન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રોતાઓની ઉપસ્થિતિમાં વિદેશથી પધારેલા અતિથિઓ તથા બહેનોની હાજરી ધ્યાનપાત્ર હતી. સમારંભના અધ્યક્ષ પદે યુ.કે. નિવાસી ઉદ્યોગપતિ અને સમાજ સેવક દિલાવરભાઈ દશાંતવાલા હતા. એ ઉપરાંત ઝામ્બિયાથી ઐયુબ અકુજી, કેનાડા સ્થિત ઐયુબ મીયાંજી, યુ.કે. થી ઇકબાલ ધોરીવાલા, ઈસ્માઈલસાહેબ ખૂણાવાલા, દિલાવરભાઈ ખોડા, કાઉન્સેલર મસીઉલ્લાહ, પ્રેમી દયાદરવી, શાહિદ પ્રેમી, હારુન પટેલ મનુબરી, ઈમ્તિયાઝ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી, યુ.એસ.એ.થી પધારેલા અનવરભાઈ ખાંધિયા, યાકુબભાઇ પટેલ તથા ઉસ્માનભાઈ પટેલ [જોઈન્ટ સેક્રેટરી ગુજરાત સરકાર], મુસ્તાક ઘોડીવાળા [રી. ડે. કમિશ્નર], સલીમ ઘડિયાળી, મુબારકભાઈ ડેરોલવાલા, એડવોકેટ સુહેલ તિરમીઝી, અબ્દુલભાઇ ટેલર, મુબારક ભાણીયા, અબ્દુલ્લાહ કામઠી વિગેરે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મહેમાનોનું, શાયરોનું સ્વાગત કરતા આ કાર્યક્રમના આયોજક માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમતાએ તેમના આવકાર પ્રવચનમાં કમિટી અને ગ્રામજનો વતી ભાવભીનું સ્વાગત કર્યું. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કાર્ય બાદ સભાના અધ્યક્ષના હસ્તે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર બાદલ સન્માનપત્રો તથા સ્મ્રુતિચિહન એનાયત થયા હતા. આ ઉપરાંત ચાર પુસ્તકો ૧. ‘પ્રેમી’ દયાદરવી કૃત “નજરાણું”, શાહિદ ઉમરજી કૃત “હાર્ટ તું હાર્ટ”, નાસીરહુસૈન લોટીયા લિખિત “ચાલો ગઝલ શીખીએ” અને અઝીઝ ટંકારવી સંપાદિત “સનાતન મૂલ્યોની કથાઓ”ની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી.

ત્યારબાદ ટંકારીઆ યુવા કમિટીના ઉપક્રમે યોજાયેલ સમારંભમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર વિભૂતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં એડવોકેટ સુહેલ તીરમીઝી, ફરહીન સલીમ ગુજ્યા, તલ્હા અઝીઝ વસ્તા, ડો. મહંમદહુસૈન ભાણીયા, તથા પ્રેમી દયાદરવી ને મોમેન્ટો આપી સન્માનિત કાર્ય હતા. બાદમાં ડો. અદમ ટંકારવી સાહેબને “ટંકારીઆ રત્ન” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. અદમ ટંકારવીએ પોતાના સન્માન બદલ ભાવ વિભોર થઇ આભાર માની સમાજ અને ટંકારીઆ ગામ ઉત્તરોત્તર વધુ ને વધુ તરક્કી કરે તેવી દુઆઓ કરી હતી.

સુકવી’તી એણે જ્યાં ઓઢણી
ડાળ લીમડાની એ મીઠી થઇ ગઈ
-‘અદમ ટંકારવી’

ત્યારબાદ શ્રોતાજનો જેની આતુરતાથી રાહ જોતા હતા તે ભવ્ય મુશાયરાનો પ્રારંભ થયો હતો. મુશાયરાનું સંચાલન વિખ્યાત ગઝલકાર ડો. રઈશ મનીઆરે કર્યું હતું. આ મુશાયરામાં ભાગ લેનાર કવિઓમાં સર્વશ્રી ‘અદમ’ ટંકારવી, ‘અઝીઝ’ ટંકારવી, ‘પ્રેમી’ દયાદરવી, હર્ષવીબેન પટેલ, ઇકબાલ ઉઘરાદાર, ‘દર્દ’ ટંકારવી, ‘પથિક’ સીતપોણવી, ઈમ્તિયાઝ પટેલ ઉર્ફે ટંકારવી, કુતબુદ્દીન ઉર્ફે ‘કરણ’ પટેલ, ઈમ્તિયાઝ મોદી ‘મુસ્વ્વિર’, ‘યકીન’ ટંકારવી, શાહિદ ઉમરજી વગેરેએ પોતાની રચનાઓ રજુ કરી શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવીએ એમની લાક્ષણિક રસપ્રદ શૈલીમાં કર્યું હતું. આ કાર્યક્રમ  ઝાકીરહુસૈન ઉમતા [માજી સરપંચ]  તથા મુબારક ભાણિયાએ સ્પોન્સર કર્યો હતો.

આ કાર્યક્રમની સંકલ્પનાને સફળતાનું શ્રેય નાસીરહુસેન લોટીયા, મુસ્તાક દૌલા, ગુલામસાહેબ ઇપલી, મોહસીન મઠિયા, યુનુસ ગણપતિ, ઉસ્માન સુતરીયા, મુસ્તાક બાબરીયા, અમીન કડા, અઝીઝ ભા, સઈદસાહેબ બાપુજી, અબ્દુલ્લાહ કામઠી તથા નવયુવાનોને જાય છે. મહેમાનોની આગતાસ્વાગતા અને જમવાની વ્યવસ્થા તથા તેમની દેખરેખની સંપૂર્ણ જવાબદારી યુનુસ ઇસ્માઇલ ગજ્જરે લઇ કાર્યક્રમને શોભાવ્યો હતો.

 

   

 

1 21 22 23 24 25 877