ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે કન્યાશાળાના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પયાત્રાનું આયોજન વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાની અધ્યક્ષતામાં આજરોજ સવારે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્ય અતિથિ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ઉપરાંત ભરૂચ જિલ્લા બીજેપી ના ઉપપ્રમુખ દિવ્યદિપસિંહ ચુડાસમા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ભરૂચના ટી.ડી.ઓ. નરેશભાઈ લાડુમોર, નાયબ મામલતદાર અજયસિંહ સોલંકી, ટંકારીયાના માજી સરપંચ ઝાકીર ઉમતા, ગામ પંચાયતના વહીવટદાર નિલેશ પટેલ, તલાટી ઘનશ્યામ વસાવા, ગ્રામ સેવક સંજયભાઈ તથા સામાજિક કાર્યકર ઉસ્માન લાલન ઉપરાંત ભરૂચ તાલુકા ઉત્તર વિભાગ શિક્ષક મંડળીના માજી ચેરમેન તથા અડોલ શાળાના માજી આચાર્ય ગુલામભાઇ ઇપલી તથા પ્રાથમિક કન્યાશાળાનો સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફગણ, આશા વર્કરો તેમજ ગામના આગેવાનો યાસીન શંભુ, ઇકબાલ સાપા, રોશનબેન, છોટુભાઈ વસાવા તથા ગ્રામજનો તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રાણાના ટૂંકા પ્રવચનમાં તેમણે સરકારની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તથા લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી તેનો લાભ લેવાની અપીલ કરી હતી. વિવિધ યોજનાના લાભાર્થીઓને પડતી અગવડતા તેમજ નવા લાભો માટેના ફોર્મ સ્થળ પર ભરી તેનો સ્થળ પર નિકાલ કર્યો હતો. અંતમાં આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના શપથગ્રહણ કરી સમારંભની પુર્ણાહુતી કરવામાં આવી હતી.