1 2 3 6

ટંકારીઆ ગામના મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] વખતો વખત પ્રગતિના પંથે જઈ રહ્યું છે. ગામના દાનવીર આદમભાઇ લાલી એ તથા પૂર્વ જિલ્લા કલેક્ટર પાંડે સાહેબે પ્રેક્ષકોને બેસવા માટે આરામદાયક સ્ટેડિયમ બનાવી આપ્યું તથા ગામના અને પરગામના સખીદાતાઓના સહકારથી એક ચેન્જીગ રૂમ બનાવ્યો હતો. અને આજે બીજો ચેન્જીગ રૂમ વિદેશમાં વસતા એક સખીદાતા કે જેમને પોતાનું નામ નહિ લેવાની શરતે બનાવી આપવાનું જણાવતા સદર ચેન્જીગ રૂમ નો પાયાવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદેશથી પધારેલા મહેમાનો, નામાંકિત વ્યક્તિઓ અને ગામના આગેવાનો તથા ક્રિકેટ રસિકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન વન એન્ડ ઓન્લી અબ્દુલ્લાહ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગામ ટંકારીઆ કે જે શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાંજ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ફરહીન સલીમ પટેલ ની ડબલ ગોલ્ડ મેડલ ની શાહી સુકાઈ નથી ત્યાં શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક ગૌરવવંતુ સ્થાન ફરહીન ઝાકીર મુન્શી એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માંથી એમ.એસ.સી. મેથેમેટિક્સ વિભાગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ટંકારીઆ ગામનું તથા સમાજનું નામ રોશન કર્યું છે. તેણીનીએ પ્રથમ એન. એમ. શાહ ગોલ્ડ મેડલ પ્યોર મેથેમેટિક્સમાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવવાનો તથા દ્વિતીય પ્રોફેસર ડો. એ.પી. વર્મા ગોલ્ડ મેડલ એમ.એસ.સી. મેથેમેટિક્સ ડિગ્રીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા માટે મળ્યો છે.
આ સિદ્ધિ હાસિલ કરી તેણીએ તેના માવતરનું, ગામ ટંકારિયાનું તથા સમગ્ર વહોરા પટેલ સમાજનું નામ રોશન કર્યું છે. દુઆ છે કે અલ્લાહ તેણીને હજૂ વધારે સફળતાના શિખરો સર કરાવે અને દિકરીને સમગ્ર માનવજાત અને દેશ માટે ઉત્તમ નાગરિક બનાવે એવી દિલી દુઆ છે.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પંચાયત ભવનમાં વિદેશથી પધારેલા ટંકારીઆ ગામના એન.આર.આઈ. ભાઈઓનો સન્માન  સમારંભ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત હાફેઝ મુસ્તુફા બોખા દ્વારા કુરાનના પઠનથી કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને સાઉથ આફ્રિકા સ્થિત સફળ બિઝનેસમેન કે જેમના હૃદયમાં ટંકારીઆ ગામની ફિકરો હર હંમેશ વસેલી છે અને જેમના કુટુંબની  સેવાઓ છેલ્લા સાત દાયકાઓથી ટંકારીઆ ગામને અવિરત મળતી રહી છે એવા હાજી આદમ લાલી સાહેબના પ્રમુખ સ્થાને  યોજવામાં આવી હતી. તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલરે સ્વાગત પ્રવચન કરી તમામ એન.આર.આઈ. ભાઈઓને આવકાર્યા હતા.

પ્રસંગને અનુલક્ષીને અઝીઝ ટંકારવી સાહેબે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પ્રગતિના કામો કરવામાં હવે મોડું કરવાની જરૂર નથી. તેમણે તેમનો ટંકારીઆ પ્રત્યેનો આગવો શેર ” સોઉંના ચહેરે ખુશીની છાલક છે, અઝીઝ આ તારું ગામ લાગે છે ” રજુ કર્યો હતો. ત્યાર બાદ ૧૯૪૬ માં ગામ ટંકારીઆ માં જન્મેલ આદમભાઇ લાલી સાહેબે પ્રમુખ સ્થાનેથી હૃદયસ્પર્શી પ્રવચનમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ આફ્રિકા ગયા પછી ૧૯૬૮માં એમના માવતર સાથે પ્રથમવાર ગામ ટંકારીઆ આવેલા ત્યારે તેમના ૬ માસના રોકાણ દરમ્યાન ટંકારીઆ ગામના લોકોની ગરીબી, કાદવ-માટી વાળા રસ્તાઓ તથા પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમના દિલને સ્પર્શી ગયા હતા. ત્યાર બાદ તેમને દિલમાં ઉતરી ગયેલી આ વાતથી મનોમન નક્કી કર્યું હતું કે, આપણે ગામ માટે કંઈક કરી છૂટવું છે. તેમણે અને તેમની ફેમિલીએ ગામ પ્રત્યે મોટું યોગદાન આપી વિકાસના કાર્યો કર્યા હતા. આદમ સાહેબે ટંકારીઆ ગામની પ્રગતિના સોપાનો સર કરવા ગામલોકોને ખભે થી ખભા મિલાવી કામ કરવા આહવાન કર્યું હતું. ત્યારબાદ યુ.કે. થી પધારેલા હરહંમેશ ગામની ફિકર રાખતા ઈકબાલ ધોરીવાળાએ તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગામની પ્રગતિ ગામના લોકોની અરસપરસની મહોબ્બતને કારણે થઇ છે આ મહોબ્બ્તને સર્જનાત્મક કાર્યોમાં કઈ રીતે તબદીલ કરવી તેની વિચારણા કરવાનો આ સમય છે. ત્યારબાદ યુ.કે. થી પધારેલા મુસ્તાક બંગલાવાલાએ તેમની આગવી શૈલીમાં  ગામની સુંદરતા વધે તે માટે ગામને સાફસફાઈ પ્રત્યે પૂરતું ધ્યાન આપવા ખાસ તાકીદ કરી હતી.

ત્યાર બાદ ગામના નવયુવાન સરપંચ ઝાકીરભાઈ ઉમતાએ ગામના વિકાસમાં એન.આર.આઈ. ભાઈઓ તથા ગામના લોકો સાથ સહકાર આપી ગામને પ્રગતિના પંથે બિરાજમાન કરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કેટલાક ગામના પ્રોજેક્ટોનું સૂચન પણ કર્યું હતું. આ પ્રસંગે જનાબ હાજી આદમભાઇ લાલીએ ટંકારીઆ ગામમાં મય્યત માટેનું ગુસલખાનું પોતાના ખર્ચે બનાવી આપવાની જાહેરાત કરી હતી.

કાર્યક્રમમાં વિદેશથી પધારેલા આદમભાઇ લાલી સાહેબ ઉપરાંત ઈકબાલ ધોરીવાળા, મુસ્તાક બંગલાવાળાયુસુફભાઇ બાપુજી, યાકુબ હીરા, અફરોઝ ખાંધિયા, ફારૂક ઘંટીવાળા, ઇકબાલ ઈસપ ધોરીવાળા, મુસ્તાક દેવરામ, ઝાકીર ગોદર, ઉસ્માન હીરા બરકાલવાળા, ઇસ્માઇલ માલજી, આસિફ બટલી, મુસ્તુફા હાફેઝ બોખા, ઈરફાન ગોપાળજી, સુહેલ ગોરધન તથા ગામ આગેવાનો જેવા કે યુનુસ ખાંધિયા, પંચાયતના સભ્યો, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર  વિગેરે હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાસીરભાઈ લોટીયાએ કર્યું હતું. અને અંતમાં આભારવિધિ સરપંચ ઝાકીર ઉમતાએ કરી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

ભરૂચથી પાલેજ નો મુખ્ય રોડ વાયા પારખેત – ટંકારીઆ તરફનો રોડ કે જે અતિ બિસ્માર હાલતમાં હતો. તેનું નવીનીકરણ  વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ના અથાગ પ્રયત્નોથી તથા રજૂઆતોથી કરવામાં આવ્યું હતું. આ માર્ગનું લોકાર્પણવિધિ કાર્યક્રમ આજરોજ ટંકારીઆ ગામે યોજાયો હતો. તદુપરાંત તેઓએ ટંકારીઆ થી ઘોડી સુધીનો તથા ઘોડી થી કિસનાડ – ઠીકરીયા નો રોડ અને ટંકારીઆ થી વાયા સીતપોણ થઇ હિંગલ્લા સુધીનો રોડ પણ મંજુર કરતા તેનું ખાતમુર્હુત પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રાણા ઉપરાંત પાલેજ વિભાગ જિલ્લા પંચાયત ના સદસ્ય મલંગખાં પઠાણ, ભરૂચ જિલ્લા ભા.જ. પ. ના ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તથા પ્રતિક્ષાબેન પરમાર, ભાજપ ના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, ભરૂચ જિલ્લા ભાજપ ના  લઘુમતી સેલ ના પ્રમુખ એમ. આઈ. ખોડા, ભાજપ આગેવાન યતિનભાઈ પટેલ, વાગરા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી, ભરૂચ જિલ્લા સુરક્ષા મંડળના સભ્ય તથા ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય રોશન વૈરાગી, ટંકારીઆ ગામના આગેવાનો ઉસ્માનભાઈ લાલન, બિલાલભાઈ, ઇકબાલ સાપા, તૌસીફ, સાદિક, મુસ્તાક મઢી, તેમજ પાલેજ ના સરપંચ શબ્બીર પઠાણ, પારખેત ગામના સરપંચ, સેગવા, માંચ, કંબોલી, વરેડીયા ગામના સરપંચો હાજર રહ્યા હતા.

1 2 3 6