WBVF ભરૂચ રૂરલ-1ની બ્લોક ઓફિસ ટંકારીઆમાં શરૂ કરવા મીટિંગ યોજાઇ
આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ ટંકારીઆ અને આસપાસના ૧૦ ગામોમાં સમાજના વિકાસ માટે બ્લોક ઓફિસની સ્થાપના કરી, સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો. આ મીટિંગમાં સમાજના વરિષ્ઠ, ફિકરમંદ વ્યક્તિઓ, અને માનવ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓના જિમ્મેદારોની હાજરીએ તેને વધુ અર્થપૂર્ણ બનાવી.
મીટિંગનું આમંત્રણ જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો અને સમાજસેવા સાથે જોડાયેલા વરિષ્ઠ વ્યક્તિઓને મોકલવામાં આવ્યું હતું, જેમાં તેમના માર્ગદર્શન અને વિચારોની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આમંત્રણમાં જણાવ્યું હતું કે ટંકારીઆ ગામ, જે સમાજમાં સૌથી વધુ શિક્ષિત અને વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું છે, તેમજ તેનું ભૌગોલિક સ્થાન ધ્યાનમાં લઈને અહીં બ્લોક ઓફિસની સ્થાપના કરવાથી વિવિધ પ્રોજેક્ટ્સનો ફાયદો વધુ અસરકારક રીતે ટંકારીઆ ઉપરાંત તેની આજુબાજુના ગામોને પહોંચી શકે છે. આમંત્રણમાં સમાજની વિવિધ સંસ્થાઓના સંકલન દ્વારા ધ્યેય હાંસલ કરવાની વાત પણ કરવામાં આવી હતી, અને તમામને અચૂક હાજર રહી પોતાના વિચારો રજૂ કરવા વિનંતી કરવામાં આવી હતી. આમંત્રણની ભાવના સમાજની એકતા અને વિકાસની પ્રેરણા આપતી હતી. આમંત્રણની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને અનેક સંસ્થાઓના હોદ્દેદારોએ મીટિંગમાં હાજરી આપી હતી.
મીટિંગની શરૂઆત અલ્લાહ તઆલાના નામથી અને કુરઆનની તિલાવતથી મવલાના અબ્દુલરઝ્ઝાક અશરફી દ્વારા કરવામાં આવી હતી, જે પછી કાર્યક્રમના પ્રમુખ તરીકે વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનના બોર્ડ ઓફ ડીરેક્ટર ઇકબાલભાઈ પાદરવાલા સાહેબની કાર્યક્રમના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન ભરૂચ રૂરલ-૧ બ્લોકના સંયોજક યુસુફભાઇ જેટ દ્વારા કરવામાં આવ્યું હતું. યુસુફભાઇએ તેમના પ્રવચનમાં ટંકારીઆ ગામના જુદાજુદા ક્ષેત્રમાં અભ્યાસ કરતા ૩૯૪ વિદ્યાર્થીઓને ૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ સુધીમાં રૂ. ૪૨૮૭૦૦૦/- ની સ્કોલરશીપ WBVF દ્વારા આપવામાં આવી છે એવી માહિતી આપી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં WBVF મિશન એવરેસ્ટના અધ્યક્ષ ડો. ઈસ્માઈલ પટેલ સાહેબે જુદાજુદા પ્રોજેક્ટના લાભાર્થીઓના આંકડાઓ રજૂ કરી વિસ્તૃત માહિતી આપી હતી જેને હાજરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. WBVF ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલ સાહેબે જણાવ્યુ હતું કે આપણા સહિયારા પ્રયાસોથી WBVF દ્વારા ચાલતા પ્રોજેક્ટ્સને વધુ મજબૂત બનાવવા અને જુદા જુદા ગામો વચ્ચે સંકલન વધારવા માટે બ્લોક ઓફિસની ખાસ જરૂર છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ટંકારીઆ ગામમાં ભરૂચ રૂરલ-૧ ની બ્લોક ઓફિસની સ્થાપના અંગે લોકોના વિચારો જાણવાનો હતો જેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલ સાહેબે હાજરજનોને ટંકારીઆમાં બ્લોક ઓફિસની જરૂરિયાત અંગે સીધો સવાલ પૂછતાં હાજરજનોએ હકારાત્મક પ્રતિસાદ આપી મીટિંગમાં બ્લોક ઓફિસની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી આગળના પગલાં માટે સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. હાજરજનોમાં અલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુનુસભાઈ ખાંધિયા, ટંકારીઆ અંજુમનના મેનેજર મો. અબ્દુલ મતીન બચ્ચા , WBVF ના કહાન ગામના ગ્રામ સંયોજક અને તાલુકા પંચાયત ભરૂચના સભ્ય દાઉદભાઈ હવેલીવાલા , ટંકારીઆ ગામના ડે. સરપંચ સફ્વાનભાઇ ભુતા, ટંકારીઆ ગામના માજી સરપંચ જાકીરહુસેન ઉમતાએ પોતાના મુલ્યવાન સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા. હાજરજનોના સૂચનોને WBVFના હોદ્દેદારોએ આવકારી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. અંતે પ્રમુખ સ્થાનેથી ઇકબાલભાઇ પાદરવાલા સાહેબે આગળની કાર્યવાહી માટે સૌના સાથ અને સહકારની અપીલ કરી હતી. બ્લોક ઓફિસ દ્વારા WBVF ના પ્રોજેક્ટ્સને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે, અને તેના માટે સમુદાયના સહયોગની જરૂર છે એ બાબત વક્તાઓના વક્તવ્યોમાં કેન્દ્ર સ્થાને હતી. કુલ મળીને, મીટિંગમાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતાનું વાતાવરણ હતું, જે સમાજના ભવિષ્ય માટે આશાસ્પદ છે.
સમાજના વરિષ્ઠ વ્યક્તિઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્થાનિક નેતાઓ, WBVF ના ગ્રામ સંયોજકો અને WBVF ની ટીમની ખાસ હાજરીમાં, મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપનાર મૂળ ટંકારીઆ ગામના અને હાલમાં યુકેમાં રહેતા અલ્તાફ અહમદ દશુ, મેહબુબ સુતરીયા, મુસ્તાક ઈસ્માઈલ હાજી રાંધવાવાલા, ફારૂક વસ્તા, ઝાહીદ ગુલામ માસ્તર ઘોડીવાલા (કે.પી.), ઇકબાલભાઇ ધોરીવાલા (ID) ને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. વિદેશમાં વસતા આ મહાનુભાવો વતી સ્થાનિક ગ્રામજનોએ મહાનુભાવોના હસ્તે મોમેન્ટો સ્વીકાર્યા હતા. આ ઉપરાંત MBBS ની ડીગ્રી મેળવ્યા પછી હાલમાં જ MD (ફેફસાંના રોગોના તજજ્ઞ) માં એડમીશન મેળવ્યું છે એવા ટંકારીઆ ગામના ડૉ. મહંમદ કૈફ મુબારક ભાણીયાને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. મહંમદ કૈફ મુબારક ભાણીયાએ પણ મેડીકલ ક્ષેત્રને લગતું ટૂંકું પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ તા. ૨૫/૦૧/૨૦૨૬ ના રોજ બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચેરીટી ક્રિકેટ મેચના આયોજન દ્વારા એકત્રિત થયેલ દાનની રકમનો ચેક બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડના ટંકારીઆમાં રહેતા આયોજકો આરીફભાઈ બાપુજી, જુનેદભાઇ ટીચ્ચુક દ્વારા મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇશાકભાઇ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. જાકીરભાઇ ઉમતાએ ચેરીટી ક્રિકેટ મેચના આયોજન અને ક્રિકેટના માધ્યમથી શિક્ષણ અને અશકરી ટિફિન સર્વિસ માટે એકત્રિત થયેલ માતબર રકમ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ચેરીટી મેચમાં દાનવીરો દ્વારા ૬૫૧૦૦૦/ ધોરણ ૧૧ અને ૧૨ ના અંગ્રેજી માધ્યમના નવા વર્ગો એમ. એ.એમ. શાળામાં શરુ કરવા, એક મુસ્લિમ ભાઇ તરફથી રૂ. ૬૫૦૦૦/- ધોરણ ૧૦ના ત્રણ વિદ્યાર્થીઓના આખા વર્ષના ખર્ચ માટે અને એક મુસ્લિમ ભાઇ તરફથી રૂ. ૬૫૦૦૦૦/- મિશન દ્વારા ટંકારીઆ ગામમાં ચાલતી અશકરી ટિફિન સર્વિસના એક વર્ષના ખર્ચ માટે આપવામાં આવ્યા હતા; આમ ચેરીટી મેચમાં કુલ ૧૩૬૬૦૦૦/- નું દાન એકત્રિત થયું હતું જે બારીવાલા સ્પોર્ટસ કલબ દ્વારા મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ટંકારીઆને આપવામાં આવ્યું છે.
અંતે મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇશાક પટેલ સાહેબે આજની મીટિંગમાં હાજર રહેલા તમામ મહાનુભાવોનો, શફીકભાઇ પટેલ, બારીવાલા બ્રધર્સ, ચેરીટી મેચના આયોજકો, સહાયકો અને દાનવીરોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. WBVF સંસ્થાના હવે પછીના તમામ કાર્યક્રમો માટે પણ તેમણે મોહસીન-એ-આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારની ખાતરી આપી હતી.
WBVF ના મેનેજર મહંમદભાઇ ભોપાએ ખાસ દુઆ કરી અને આ મીટિંગ પૂરી થઇ હતી. આજની આ મહત્વની મીટિંગનું સુચારુ સંચાલન ઉસ્માનભાઈ સુતરીયાએ એમના આગવા અંદાજમાં કર્યું હતું.
આજની મીટિંગ વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનના ધ્યેયને વધુ મજબૂત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તમામ હાજરજનોના વિચારો અને માર્ગદર્શનથી આપણે આ લક્ષ્યને હાંસલ કરી શકીશું. અલ્લાહ તઆલા આપણા પ્રયાસોને કબુલ કરે, સમાજને વધુ સશક્ત બનાવે અને બંને જહાનમાં સફળતા અતા કરે. આમીન.
























TANKARIA WEATHER






