(છગન ધનજી ટંકારીઆ-એક જીવંત પાત્ર)
-અફસોસ ઈખરવી.
ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાનું મોટું ગામ એટલે ટંકારીઆ. મોટા ખેડૂતોનું, સાગરખેડુઓનું અને મહેનતકશ લોકોનું ગામ. પણ ટંકારીઆની ઓળખ માત્ર એની સમૃદ્ધિથી નથી; એની સાચી ઓળખ તો પ્રેમ, એકતા, સર્વધર્મ સમભાવ અને માનવતાથી છે.
ભૂખ્યાને જમાડનારા, ગરીબનાં આંસુ લૂછનારા, ભૂલા પડેલા અજાણ્યાને મધરાતે પણ તેના મુકામ સુધી પહોંચાડનારા—આવા સાચા રાહબરના માણસોનું ગામ એટલે ટંકારીઆ. અહીં સજ્જનો વસે છે, સૌની ખબરઅંતર પૂછાય છે, દુઃખમાં હૂંફ અપાય છે. ઘરડાં લોકોની સેવા કરી તેમની દુઆઓ મેળવનારા લોકો છે. પોતાની સાથે રહેનાર માણસ ભૂખ્યો તો નથી ને—એની ચિંતા કરનારા લોકો છે. માતા-બહેનોની કદર અને હિફાજત કરનારા, ઘરડાંની લાકડી બનનારા લોકો છે.
ગાંધીજીની સત્ય અને એકતાની ભાવનાને જીવનમાં ઉતારનાર, આઝાદીની લડતમાં દેશ સાથે ખડા રહેનારા દેશપ્રેમીઓ અને માનવતાને ચિરંજીવ બનાવનારા માનવતાવાદીઓનું આ ગામ છે.
જ્યારે ગામના થોડાક માણસોનું માનવતાભર્યું જીવન આખા ગામની બહાર સુધી સુવાસ ફેલાવે, ત્યારે ગામનો એકેએક માણસ એ સુવાસથી રંગાય નહીં તો જ નવાઈ!
ટંકારીઆના છેવાડાના ફળિયામાં રહેનારા મુહલ્લાના સદગૃહસ્થોની વાત હું અગાઉ કરી ગયો છું. એમાં ભગવાનના માણસો જેવા બે સગાભાઈ—ધનજીભાઈ અને મોહનભાઈ.
એમની સુંવાળપની સુવાસ માત્ર ટંકારીઆમાં જ નહીં, આજુબાજુનાં ગામોમાં પણ પ્રસરી હતી. નાની પેઢીથી ચાલતો એમનો પગરખાં બનાવવાનો વ્યવસાય હતો. તેઓ બૂટ-ચપ્પલ બનાવે, જૂનાં પગરખાં સુધારે અને ઉપરથી પોતાના પ્રેમની પોલીસ મારીને એ પગરખાંને ચમકાવી દે. પણ સાચી વાત તો એ હતી કે તેઓ પગરખાં જ નહીં, પહેરનારના વ્યક્તિત્વને પણ ચમકાવી દેતા.
બૂટમાં ખીલી મારતાં ખુદાને યાદ કરે અને ફાટેલા સપાટને સીવતાં સીવતાં સીતારામને યાદ કરે. એમના કામના એક છેડે ખુદા અને બીજા છેડે ઈશ્વર ઊભા રહેતા. એમની આખી પેઢી જાણે ભક્તિભાવથી ગુંજતી હતી.
બન્ને ભાઈઓ વચ્ચે એવો ભાઈચારો કે આખું ગામ વાહ વાહ કરે. ગામમાં કોઈ કામે નીકળે તો બંને સાથે નિકળે..!! જાણે બે શરીર અને એક હૃદય!
ગામના લોકો એમને જોઈને અંદરોઅંદર કહેતા—
“ભાઈબંધી શીખવી હોય તો આ બે ભાઈઓ પાસેથી શીખવી…!!”
લોકો પોતાના પગરખાં લઈને એમની પાસે આવે અને પગરખાં પણ જાણે એ બે ભાઈઓના હાથની રાહ જોતાં હોય! જાણે તેઓ પગરખાંના ડૉક્ટર પણ અને ઈશ્વર પણ!
આ બે ભાઈઓનાં સંતાનો પણ એટલાં જ પ્યારાં—કોમળ, ખુશનુમા પુષ્પો જેવાં. એમને મળો એટલે મન પ્રસન્ન થઈ જાય.
મારે અહીં ધનજીભાઈના સંતાનોમાં ખાસ કરીને મારા સગામામાની દીકરી કમુના દીકરા છગન ધનજી ટંકારીઆની વાત કરવી છે. છગન મારા બનેવી થાય.
છગન—મજાના માણસ. નિખાલસ માણસ. એમના બાપ જેવા પરોપકારી.
માણસને આવકારવો હોય તો કેવી રીતે આવકારવો, એ જાણે એમને આવડતું હતું.
“તારા આંગણિયે પૂછીને જે કોઈ આવે રે, એને મીઠો આવકાર દેજે રે; એની ખબર પૂછજે, એના સુખદુઃખની વાત કરજે, એનાં આંસુ લૂછજે, એને હિંમત આપજે. એ ભૂખ્યો તો નથી ને? એને પેટ ભરીને જમાડજે. એને માથે હાથ દેજે અને હૂંફ આપજે.”
આ જાણે એમના જીવનનો વણલખ્યો મંત્ર હતો.
બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા!
છગન પણ બાપની જેમ પગરખાં બનાવનાર. ગુજરાત લેધરમાં એક અચ્છા કારીગર તરીકે એમની સુવાસ હતી. પણ એમની કારીગરી માત્ર પગરખાં સીવવામાં નહોતી; એમને તો સંબંધો બાંધતા પણ આવડતા હતા.
દુઃખિયારાને સાથ આપવો, શક્ય હોય ત્યાં સુધી મદદ કરવી, હતાશ માણસને ફરી ઊભો કરવો—આ એમના સ્વભાવમાં હતું.
કોઈ ભૂખ્યું આવે તો પોતાની થાળી પરથી ઊઠી જનાર માણસ!
કોઈ દુઃખ લઈને આવે તો એનું દુઃખ હળવું કરી દેતો માણસ!
કોઈની આંખમાં આંસુ હોય તો એ આંખો લૂછતો માણસ!
અને જે માણસ ઉદાસ ચહેરે આવે એને હસતો-હસતો પાછા મોકલે—એવા છગન.
એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે ગંભીર પ્રસંગમાં પણ હળવાશનું એક ઝરણું વહાવી દે.
એક વખત અમે શોકસભામાં સાથે બેઠા હતા. એવામાં છગનના છોકરાની વહુ પોતાના બાળકને લઈને અમારી પાસેથી પસાર થઈ. છગને બાળકને જોઈને મજાકમાં પૂછ્યું—
“આ કોનું છોકરું છે?”
એની વહુ એમનો મજાકિયો સ્વભાવ જાણતી હતી. તરત બોલી—
“આ છોકરું તમારા છોકરાનું… મારું થોડું છે?”
એક ક્ષણ માટે અમે વિચારમાં પડી ગયા. પછી અચાનક વાત સમજાઈ. અમારી નજર એકબીજા સાથે મળી અને બંને હસી પડ્યા.
શોકસભામાં પણ સંબંધોની એવી હળવી વાતથી વાતાવરણમાં જાણે પવન ફરી વળ્યો.
છગન સંબંધોને ભારરૂપે નહીં, હળવાશથી જીવતા માણસ હતા.
એમના હાસ્યમાં કોઈની મજાક નહોતી; માણસને માણસ સાથે જોડવાની કળા હતી.
એમના ભાઈઓ પણ એમના જેવા જ—હળવા ફૂલ જેવા, મળતાવડા અને મજાના.
એમના નાના ભાઈ સાથે તો એમનાં લગ્ન પહેલાંથી જ રાજપીપળાથી પરિચય હતો.
હું ભણ્યો, તેઓ ભણ્યા અને અમે શિક્ષક બન્યા. પણ એ પહેલાં મારી પાસે ગરીબી હતી. પહેરવા માટે પગરખાં પણ ન મળે એવી સ્થિતિ હતી. ત્યારે અશ્વિનભાઈ પાલેજ અને તેમના ભાઈ અર્જુનભાઈએ મને બૂટ લાવી આપ્યાં હતાં.
આ ઉમદા ખાનદાનના નબીરાઓમાં મને હંમેશાં ઉમદા વ્યક્તિત્વનો નિખાર દેખાયો છે.
એમના ભાઈ કરશનભાઈની પણ એક વાત યાદ આવે છે.
વડોદરામાં એમણે મકાન બનાવ્યું. પણ એ મકાનને માત્ર મકાન ન રહેવા દીધું—ઘર બનાવ્યું અને એ ઘરને ગામ સાથે જોડી દીધું.
અને એની શિખરે લખાવ્યું—
“ટંકારીઆ.”
જ્યારે ગામલોકોને એની ખબર પડી ત્યારે કરશનભાઈને ગામના લોકોએ ગામ વચ્ચે ફૂલોથી શાલ ઓઢાડી વધાવ્યા.
આ માત્ર કોઈ એક માણસનું સન્માન નહોતું.
આ તો પોતાના ગામને હૃદયમાં વસાવનાર માણસનું સન્માન હતું.
ટંકારીઆના આ માણસોની વાત કરતાં મને વારંવાર એક જ વાત યાદ આવે છે—
રોકડો રૂપિયો, ચોખ્ખો તે ચાંદીનો જે રણકતો..!!
માણસનું સાચું મૂલ્ય એની પાસે કેટલું છે એમાં નથી; એની અંદર કેટલું છે એમાં છે.
છગન ધનજી ટંકારીઆ એવા જ માણસ.
ચોખ્ખા, નિખાલસ. દિલદાર.
પગરખાં બનાવતાં બનાવતાં જેમણે અનેક પગને રસ્તો આપ્યો, તેમ સંબંધો સાચવતાં અનેક હૃદયોને હૂંફ આપી.
અને એટલે જ—
છગન ધનજી ટંકારીઆને યાદ કરવા એટલે એક માણસને નહીં, એક માનવતાભર્યા સંસ્કારને યાદ કરવા…!!
— કે. કે. રોહિત

ટંકારીઆ વતની અને વાઘોડિયા – વડોદરામાં સ્થાયી થયેલા કરસનભાઈ [માજી પી.એસ.આઈ.] નો ફોટો
શબ્દો જ્યારે સ્મૃતિ બની જાય… ત્યારે માણસ ફરી એકવાર જીવતો થઈ જાય!
નાસીરહુસેન લોટીયા.
રોકડો રૂપિયો, ચોખ્ખો તે ચાંદીનો જે રણકતો…!!
ઈંગ્લેન્ડથી ઈસ્માઈલ સાહેબ ખુણાવાળાએ મોકલેલો કે. કે. રોહિત સાહેબનો “છગન ધનજી ટંકારીઆ—એક જીવંત પાત્ર” લેખ વાંચ્યો અને સાચું કહું તો લેખ પૂરો થયો, પણ મનમાંથી પૂરો થયો નહીં.
કેટલાક લેખ વંચાતા નથી—અનુભવાતા હોય છે.
કેટલાક શબ્દો આંખે દેખાતા નથી—હૃદયમાં ઊતરી જાય છે.
અને કેટલાક માણસો દુનિયામાંથી વિદાય લઈ જાય પછી પણ પોતાના સ્વભાવ, સંસ્કાર અને સંબંધોની સુવાસથી આપણી વચ્ચે જીવતા રહે છે.
છગન ધનજી ટંકારીઆની વાત પણ એવી જ છે.
ઈસ્માઈલ સાહેબ, તમે આ લેખ મોકલીને માત્ર એક લેખ મોકલ્યો નથી; તમે તો જાણે ટંકારીઆની એક આખી જીવંત દુનિયા અમારા હાથમાં મૂકી દીધી છે.
ટંકારીઆ એટલે માત્ર ગામ નહીં.
ટંકારીઆ એટલે સંબંધોની સંસ્કૃતિ.
ટંકારીઆ એટલે સુખમાં સાથે હસવું અને દુઃખમાં ખભે હાથ મૂકવો.
ટંકારીઆ એટલે ભૂખ્યાને ભોજન, દુઃખિયારાને હૂંફ અને અજાણ્યાને પણ પોતાના માણસની જેમ આવકાર આપવાની પરંપરા.
અને આ સંસ્કૃતિને જીવંત રાખનારા અનેક પાત્રોમાં ધનજીભાઈ અને મોહનભાઈ જેવા બે ભાઈઓનું સ્થાન ખરેખર વિશિષ્ટ હતું.
પગરખાં બનાવવાનો એમનો વ્યવસાય હતો, પરંતુ એમણે માત્ર ચામડાંના પગરખાં જ બનાવ્યાં નહોતાં—
એમણે માણસાઈના રસ્તા બનાવ્યા હતા.
ધનજીભાઈ અને મોહનભાઈનો ભાઈચારો તો પોતે જ એક પાઠ હતો. બે શરીર, એક હૃદય—આ શબ્દો એમના સંબંધ માટે જાણે ખાસ બનાવવામાં આવ્યા હોય એવું લાગે.
અને પછી આવે છે એ જ સંસ્કારની છાંયામાં ઉછરેલો છગન ધનજી ટંકારીઆ.
છગન માત્ર સારા કારીગર નહોતા.
એમની સાચી કારીગરી તો માણસ ઓળખવાની અને માણસને સાચવવાની હતી.
પગરખાંને સીવીને પહેરવા લાયક બનાવવું સહેલું છે; પરંતુ તૂટેલા માણસને ફરી ઊભો કરવો—એ મોટી કારીગરી છે.
કોઈ ભૂખ્યું આવે અને પોતાની થાળીમાંથી ઊઠી જવું, કોઈ દુઃખ લઈને આવે તો તેનું દુઃખ પોતાનું માની લેવું, કોઈની આંખમાં આંસુ દેખાય તો એ આંસુ લૂછવાની કોશિશ કરવી—આ ગુણો કોઈ શાળામાં ભણાવી શકાતા નથી.
આ તો ઘરના સંસ્કારથી હૃદયમાં ઊતરતા હોય છે.
એટલે જ છગનભાઈને સમજવા હોય તો માત્ર છગનભાઈને નહીં, એમના પિતા ધનજીભાઈ, કાકા મોહનભાઈ અને આખા એ સંસ્કારી પરિવારને સમજવો પડે.
અને એમના ભાઈઓની વાત પણ એટલી જ ગૌરવભરી છે.
“અશ્વિનભાઈ પાલેજ અને અર્જુનભાઈ દ્વારા એક જરૂરિયાતમંદને બૂટ લાવી આપવાની વાત કદાચ નાની ઘટના લાગે; પરંતુ જેના પગમાં પહેરવા પગરખાં ન હોય, તેના માટે એ બૂટ માત્ર બૂટ નથી હોતા—એ આત્મસન્માન હોય છે, કોઈના હૃદયમાં પોતાના માટે જગ્યા છે એની અનુભૂતિ હોય છે.
એવી નાની નાની મદદો જ તો માણસના જીવનમાં મોટા દીવા પ્રગટાવે છે.
અને કરશનભાઈની વાત તો હૃદયને સ્પર્શી જાય એવી છે.
વડોદરામાં પોતાનું મકાન બનાવ્યું, પણ એને માત્ર પોતાનું મકાન ન રહેવા દીધું. એની શિખરે પોતાના વતનનું નામ લખાવ્યું—
“ટંકારીઆ.”
વતનથી દૂર રહીને પણ વતનને હૃદયથી દૂર ન થવા દેવું—આ સામાન્ય વાત નથી.
મકાનની દીવાલ પર તેઓ બીજા ઘણા નામો લખી શકતા હતા જેવા નમો અન્ય ઘરો પર લખાયેલા હોય છે પરંતુ તેમના ઘરની શોભા વધારતું લખાયેલું “ટંકારીઆ” માત્ર એક ગામનું નામ નહોતું; એ તો માતૃભૂમિ પ્રત્યેની લાગણી, વતન પ્રત્યેનું ઋણ અને પોતાના લોકો પ્રત્યેનો ગૌરવ હતો.
અને જ્યારે ટંકારીઆ માં એક ભવ્ય કાર્યક્રમમાં ગામલોકોએ કરશનભાઈને ખાસ આમંત્રણ આપી ફૂલોથી અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા, ત્યારે ખરેખર સન્માન પોલીસ ખાતામાં નોકરી કરી ચૂકેલા કરશનભાઈનું જ નહોતું થયું—
સન્માન થયું હતું એ લાગણીનું, જે માણસને પોતાના વતન સાથે જીવનભર જોડેલી રાખે છે.
આ આખી વાત વાંચતાં એક વાત વારંવાર મનમાં આવે છે—
માણસ મોટો પૈસાથી નથી થતો.
માણસ મોટો બને છે પોતાના વર્તનથી.
માણસ મોટો બને છે બીજાના દુઃખને પોતાનું દુઃખ માનીને.
માણસ મોટો બને છે સંબંધોને સાચવીને.
છગનભાઈ જેવા માણસોનું મૂલ્યાંકન કોઈ ત્રાજવામાં થઈ શકે નહીં.
એમની પાસે કેટલું હતું એ પ્રશ્ન જ ખોટો છે.
એમણે કેટલું આપ્યું—એ જ સાચો પ્રશ્ન છે.
અને કદાચ એટલે જ—
“રોકડો રૂપિયો, ચોખ્ખો તે ચાંદીનો જે રણકતો…”
છગનભાઈ એ જ ચોખ્ખા ચાંદીના રૂપિયાની જેમ હતા—
નિખાલસ, રણકતા અને સાચા.
શોકસભામાં પણ હાસ્યની એક નાની કિરણ પાથરી દેતી એમની મજાક—
“આ કોનું છોકરું છે?”
અને વહુનો તરત આવતો જવાબ—
“આ છોકરું તમારા છોકરાનું… મારું થોડું છે?”
આ પ્રસંગ કદાચ સાંભળવામાં નાનો લાગે, પરંતુ એમાં છગનભાઈનું આખું વ્યક્તિત્વ દેખાઈ આવે છે.
ગંભીરતામાં પણ હળવાશ, સંબંધોમાં પણ મસ્તી અને માણસને દુઃખમાંથી થોડી ક્ષણ માટે બહાર લાવવાની કળા—આ પણ એક પ્રકારની સેવા જ છે.
આ લેખ વાંચીને મને એવું લાગ્યું કે છગનભાઈ એક વ્યક્તિ જ ન હતા
એ એક વાતાવરણ હતા.
એમની આસપાસ રહો એટલે હૂંફ મળે.
એમની સાથે બેસો એટલે હાસ્ય મળે.
એમને મળો એટલે માણસાઈમાં વિશ્વાસ વધે.
અને આ આખી સ્મૃતિને શબ્દોમાં કંડારનાર કે. કે. રોહિત સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનવો જ પડે.
કારણ કે સમય માણસોને આપણાથી દૂર કરી શકે છે, પરંતુ સારા શબ્દો તેમને સ્મૃતિમાંથી દૂર થવા દેતા નથી.
રોહિત સાહેબે છગનભાઈને યાદ કરતાં માત્ર એક વ્યક્તિનું ચરિત્ર લખ્યું નથી; તેમણે ધનજીભાઈ, મોહનભાઈ, છગનભાઈ, અશ્વિનભાઈ, અર્જુનભાઈ, કરશનભાઈ અને એમના સમગ્ર પરિવારના માધ્યમથી ટંકારીઆના એક સુંદર સંસ્કારી યુગનું ચિત્ર દોરી આપ્યું છે.
અને ઈસ્માઈલ સાહેબ, તમે ઈંગ્લેન્ડમાં બેઠા બેઠા આ લેખ અમને મોકલ્યો—એ પણ એક સુંદર સંબંધની નિશાની છે.
દૂરના દેશમાં રહીને પણ વતનની માટી, વતનના માણસો અને વતનની યાદોને હૃદયમાં જીવંત રાખવી, એ જ તો સાચી વતનપ્રેમની ઓળખ છે.
આવા લેખો આપણને એક વાત ફરી સમજાવે છે—
ગામની સાચી ઓળખ એની ઈમારતોમાં નથી હોતી,
એના ખેતરોમાં નથી હોતી,
એની સમૃદ્ધિમાં પણ નથી હોતી;
ગામની સાચી ઓળખ એના માણસોમાં હોય છે.
અને જ્યારે આવા માણસો યાદ આવે ત્યારે આંખ ભીની થાય તો એ દુઃખના આંસુ નથી હોતા…
એ તો ગૌરવના આંસુ હોય છે.
છગન ધનજી ટંકારીઆને હૃદયપૂર્વક સન્માન આપવાનું મન થાય એ સ્વભાવિક છે.
ધનજીભાઈ અને મોહનભાઈ જેવા સંસ્કારવાન વડીલો અને
અશ્વિનભાઈ, અર્જુનભાઈ અને કરશનભાઈ જેવા સેવાભાવી અને વતનપ્રેમી ભાઈઓ પણ સન્માનને પાત્ર છે.
અને આ તમામ માનવતાભર્યા પાત્રોને શબ્દોમાં અમર બનાવનાર કે. કે. રોહિત સાહેબને દિલથી અભિનંદન.
માણસ ચાલ્યો જાય છે,
પણ માણસાઈ રહી જાય છે.
શરીર વિદાય લે છે,
પણ સંસ્કાર જીવતા રહે છે.
અને સાચા માણસની યાદ—
સમય પણ ક્યારેય ભૂંસી શકતો નથી.
છગનભાઈ, તમે જ્યાં પણ હશો,
ટંકારીઆ તમને યાદ કરશે…
કારણ કે તમે ટંકારીઆમાં રહ્યા નહોતા માત્ર—
તમે ટંકારીઆના માણસોના હૃદયમાં વસ્યા હતા.
— સાદર ભાવાંજલિ અને હૃદયપૂર્વક આભાર
ઈસ્માઈલ સાહેબ ખુણાવાળા તથા કે. કે. રોહિત સાહેબને
નાસીરહુસેન લોટીયા.