કસ્બા ટંકારીઆમાં ઈદ એ મિલાદ ની શાનદાર ઉજવણી કરાઈ

કસ્બા ટંકારીઆમાં તારીખ ૨૮ સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ ઇસ્લામી તારીખ ૧૨ રબીઉલ અવ્વલ ના રોજ ઈદ એ મિલાદ ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. કસ્બાની વિવિધ મસ્જિદોમાં સવારે સાડા ચાર વાગ્યાથી નાત શરીફ અને સલાતો સલામ માટે મોટી સંખ્યામાં આશિકાને નબી ભેગા થઇ ગયા હતા. આ સિલસિલો ફજરની અઝાન સુધી ચાલુ રહ્યો હતો. ફજરની નમાજ અદા કરી સવારે સાડાસાત વાગ્યે પાટણવાળા બાવા સાહેબના મકાનેથી બાવાની સદારતમાં આખા ગામમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. જે સમગ્ર ગામમાં ફરી “સરકાર કી આમદ મરહબા” જેવા ગગનચુંબી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું અને મુખ્ય બજારમાં જામા મસ્જિદ પાસે જુલૂસની પુર્ણાહુતી થઇ હતી. જાયરીનોએ જામા મસ્જિદમાં નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમના ઝુલ્ફે મુબારકની જિયારત કરી ફૈઝીયાબ થયા હતા.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨ ચાંદ સુધી ઈશાની નમાજ બાદ જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમની શાનમાં શાનદાર બયાનો પણ કરવામાં આવ્યા હતા. તેમજ ગામના નવયુવાનો દ્વારા ગામની વિવિધ મસ્જિદોમાં તેમજ મુખ્ય બજાર, પાદર તેમજ રસ્તાઓ ઉપર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નવયુવાનો એક બીજાને ઈદ એ મિલાદની શુભેચ્છાઓ પાઠવતા પણ નજરે પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*