ટંકારીઆ ગામે વિદાય લેતા સરપંચ તથા પંચાયત બોડીનો વિદાય સમારંભ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે હાલમાં પંચાયત ના હાલના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા તથા પંચાયત બોડીની મુદ્દત પુરી થતા તેમનો વિદાય સમારંભ ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો. તથા નવનિયુક્ત વહીવટદાર નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ પધારેલા મહેમાનો નું શાબ્દિક સ્વાગત તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુતછથી સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમારંભ આગળ વધતા ટંકારીઆ ગામને હરહંમેશ મદદરૂપ થતા મુબારકભાઈ દેરોલવાળા, મિન્હાઝ દેરોલવાળા, તૌસીફભાઇ ને સન્માનપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં વિદાય લેતા સરપંચ ઝાકીરભાઈ, ડે. સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન તથા ગામના ૧૪ વોર્ડ ધરાવતા સભ્યોને પણ સન્માનપત્રો આપી સન્માનિત કરાયા હતા.
બાદમાં મહેમાન તરીકે પધારેલા મુબારકભાઈએ તેમના પ્રવચનમાં ગામના સરપંચ અને ગામલોકોની તારીફના પુષ્પો વેર્યા હતા. મુબારકભાઈએ સતત કાર્યશીલ રહી ખુબ સુંદર વહીવટ પ્રદાન કરવા બદલ સરપંચ ઝાકીરભાઈ સરાહના કરી હતી. ત્યારબાદ સરપંચ ઝાકીરભાઈ ઉમતાએ પોતાના વિદાઈ પ્રવચનમાં પોતે ૧૪ માસ દરમ્યાન કરેલા કામોની રૂપરેખા આપી હતી. તેમણે તેમના સરપંચશીપના કાર્યકાળ દરમ્યાન તમામ ગ્રામજનોએ આપેલ અવિશ્વશનીય સહકારની પ્રસંશા કરી પોતાના વક્તવ્યમાં ભાવુક થઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમણે તેમના કાર્યકાળનો પ્રારંભ કર્યો ત્યારે શૂન્યમાંથી શરૂઆત કરી હતી પરંતુ લગન, નિષ્પક્ષતા અને ગામની લાગણીને ધ્યાને લઈને ખુબ સુંદર કાર્યો પાર પડ્યા હતા. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન કરેલા કામોનો વિસ્ત્રુત અહેવાલ ગ્રામજનો સમક્ષ રજુ કર્યોં હતો અને તેમના કાર્યકાળ દરમ્યાન મંજુર થયેલા કામોનો અહેવાલ રજુ કર્યોં હતો અને તે તમામ મંજુર થયેલા કામો પણ થઇ જશે તેવી બાહેંધરી ગ્રામજનોને આપી હતી. શિક્ષિત અને આત્મીયતા ધરાવતા સરપંચ ની વિદાયથી ગ્રામજનો પણ થોડા માયુસ થયેલા જોવા મળ્યા હતા. બાદમાં ગામના તલાટી ઉમેશભાઈ પટેલે તેમના ટૂંકા વક્તવ્યમાં ગ્રામજનોના સહકારની પ્રસંશા કરી હતી. તેમને કહ્યું હતુંકે તેમના ૨૧ વર્ષના તલાટી તરીકેના કાર્યકાળ દરમ્યાન આટલા સકારાત્મક અને કાર્યરત સરપંચ જોયા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પ્રથમ સરપંચ તેમણે તેમની તલાટીની નોકરી દરમ્યાન જોયા છે કે જેઓ સતત આખો દિવસ પંચાયત પર હાજર રહી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હતા, તેમને રાત્રે પણ કામ કરતા જોયા હતા એમ તલાટીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરપંચે તેમની વહીવટી કુશળતાથી તમામ ક્ષેત્રના અધિકારીઓ સાથે સમન્વય કેળવી ગામના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ લાવવામાં સફળતા મેળવી હતી. નવનિયુક્ત વહીવટદાર હરનીશભાઈ વાળંદે એમના ટૂંકા વક્તવ્યમાં “વિના સહકાર નહિ ઉદ્ધાર” ઉક્તિ સાર્થક કરતા ગ્રામ લોકોને સાથ સહકાર આપવા વિનંતી કરી હતી.
આ સમારંભમાં મુખ્યતે મુબારકકભાઈ દેરોલવાળા, મિન્હાઝ દેરોલવાળા, વહીવટદાર હરનીશભાઈ વાળંદ, તૌસીફભાઇ, ભરૂચ તલાટી મંડળના પ્રમુખ મેક્વાનભાઈ, તાલુકા એન્જીનીયર મુન ભાઈ, ગ્રામ સેવક દિવ્યેશભાઈ, અબ્દુલ્લાહ ટેલર, ઉસ્માનભાઈ લાલન , દાઉદ બંગલાવાળા, મકબુલભાઈ અભલી, વડીલ ઇબ્રાહીમભાઇ મનમન, તલાટી ઉમેશભાઈ પટેલ, તલાટી ઘનશ્યામભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબ્દુલ્લાહ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*