ટંકારીઆ અને પંથકમાં ઈદ એ મિલાદની પરંપરાગત ઉજવણી કરાઈ
આપણા પ્યારા આકા હઝરત મુહમ્મદ રસુલલ્લાહ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ના જન્મદિવસ નિમિતે આજરોજ ઈદ એ મિલાદનુંન્નબી ના પવિત્ર પર્વ ની ઉજવણી ભારે ઉત્સાહ, શ્રદ્ધા, ભક્તિ અને ભાઈચારાના માહોલમાં ધામધૂમ પૂર્વક ટંકારીઆ તથા સમગ્ર પંથકમાં કરવામાં આવી રહી હતી. આજે વહેલી સવારથી જ લોકો વિવિધ મસ્જિદોમાં ભેગા થઇ સલાતો સલામ, નાત શરીફ અને દુઆઓ ગુજારી હતી, બાદમાં જામા મસ્જિદમાં ફજરની નમાજ બાદ મુએ મુબારકની જિયારતનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો. બાદમાં ૭:૩૦ વાગ્યે પાટણવાળા બાવા સાહેબના ઘરેથી મિલાદના જુલૂસનું પ્રસ્થાન થયું હતું તે મોટા પાદર – બાઝાર થઇ વિવિધ શેરીઓમાં ફરી જામા મસ્જિદમાં સંપન્ન થયું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં નવયુવાનો તથા બુઝુર્ગોએ ભાગ લીધો હતો અને “સરકાર કી આમદ મરહબા” જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિવિધ મસ્જિદો તથા દર્શગાહો ઉપરાંત મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં રંગબેરંગી લાઈટ ડેકોરેશનથી શુશોભિત કરવામાં આવ્યું હતું.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨ માં ચાંદ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નબીએ કરીમ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ની સીરત પર બયાનોનો દૌર પણ ચાલ્યો હતો જેમાં જામા મસ્જિદમાં મૌલાના અબ્દુર્રઝાક સાહેબે તથા મસ્જીદે મુસ્તુફાઇયયાહમાં મુફ્તી નૂર સઇદ સાહેબે નબીએ કરીમ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ની સીરત પર બયાનો કરી હાજરજનોને ફૈઝીયાબ કર્યા હતા.


TANKARIA WEATHER