ટંકારીઆમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારીઓ સાથે મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ [સલ્લલાહો અલયહે વસલ્લમ] ના જન્મદિવસની ઉજવણી સમગ્ર મુસ્લિમ સમાજ ઈદ-એ-મિલાદના નામ તરીકે કરે છે. આગામી તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ને શુક્રવારના રોજ ઈદ-એ-મિલાદની ઉજવણી કરવા ટંકારીઆ ગામમાં મસ્જિદોમાં તથા ગલીએ ગલીએ રંગબેરંગી લાઈટ ડેકોરેશન સાથે સાથે “જશ્ને ઈદ-એ-મિલાદુન્નબી” ની ઝંડીઓ ફરકતી નજરે પડે છે. રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી ઈદે મિલાદની તડામાર તૈયારીઓના ભાગ સ્વરૂપે જામા મસ્જિદ તથા મસ્જીદે મુસ્તુફાઈય્યામાં ઈશાની નમાજ બાદ હુઝૂર સલ્લલાહો અલયહે વસલ્લમની સીરતના બયાનોનો સિલસિલો ચાલુ છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજરી આપી ફૈઝીયાબ થાય છે. બયાન બાદ ખીર, ખીચડો તથા દૂધ કોલ્ડ્રીંક જેવી ન્યાઝોનું વિતરણ પણ કરવામાં આવે છે.
આ સંદર્ભે ટંકારીઆ ગામના ઉત્સાહી નવયુવાનો દ્વારા તારીખ ૭/૯/૨૦૨૫ ને રવિવારના રોજ સમગ્ર ટંકારીઆ ગામના લોકો માટે સામુહિક ન્યાઝનું આયોજન દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું છે. તથા તારીખ ૬/૯/૨૦૨૫ ને શનિવારના રોજ બાદ નમાઝે ઈશા ખતમેં “કુરાન” પણ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યું છે. આ સામુહિક ન્યાઝમાં આપ પણ હિસ્સો લેવા ઉત્સુક હોવ તો આપની ન્યાઝની રકમ ટંકારીઆ ૧૦૮-ગ્રુપના અરાકીનોને પહોંચાડી આપવા વિનંતી છે.


TANKARIA WEATHER
Leave a Reply