ભરૂચના ટંકારીયા ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા નાગરિકતા બીલના વિરોધમાં વિશાળ રેલી યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના લોકોએ જોડાઇ નાગરિકતા બીલનો વિરોધ કર્યો હતો…

 સંસદના બંને ગૃહમાં પસાર થયેલા નાગરિકતા બીલનો વિરોધનો વંટોળ હજુ સંભળાઇ રહયો છે. તો બીજી તરફ નાગરિકતા બીલના વિરોધમાં હજુ પણ દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ઉગ્ર રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. નાગરિકતા બીલ રદ કરવાની માંગ સાથે હજુ પણ દેશભરમાં ઠેર ઠેર મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજી વિરોધ વ્યક્ત કરાઇ રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારના રોજ ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા એક વિશાળ રેલી યોજાઇ હતી.

જુમાની નમાઝ બાદ ગામના માં લોકો એકઠા થયા હતા અને મોટાપાદરથી રેલીની શરૂઆત કરી આ રેલી મુખ્ય બજાર માં થઇ નાના પાદર ડેલાવાલા સ્ટ્રીટ થઇ સાપા સ્ટ્રીટ, બંગલા સ્ટેન્ડ થી પસાર થઇ મોટા પાદર સર્કલ પાસે સંપન્ન થઇ હતી.  આ રેલીમાં ટંકારીઆ તથા આજુબાજુના ગામના તમામ સંપ્રદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. શિસ્તબદ્વ રીતે સંયમ સાથે હાથમાં પ્લે કાર્ડ દર્શાવી કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા નાગરિકતા બિલને રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. “ઇન્કલાબ જિંદાબાદ”, “આવાજ દો હમ એક હૈ” ના ગગનભેદી સુત્રોચ્ચારોથી ટંકારીયાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કાળા કાયદાનો વિરોધ મુસ્લિમ સંપ્રદાયના લોકોના ચહેરા પર રોષરૂપે સ્પષ્ટ નજરે પડતો હતો. ટંકારીયા ગામના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ સ્વયંભૂ એકત્ર થઇ પસાર કરાયેલા કાળા કાયદાનો સખ્ત વિરોધ કરી સરકાર સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો… અંત માં એકત્રિત થયેલ લોકો દ્વારા આવેદનપત્ર પર સહીઓ કરી આવેદનપત્ર કલેક્ટર ભરૂચ ને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૬ થી ૭ ડિગ્રી ઘટી જતા સમગ્ર ભરૂચ જિલ્લામાં લોકો ઠંડીથી રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. જયારે હવામાન ખાતાની જાણકારી અનુસાર આગામી ૪૮ કલાકમાં હજુ પણ તાપમાન ગગડવાની શક્યતાઓ જોતા ઠંડીમાં હજુ પણ વધારો થવાના એંધાણો વર્તાઈ રહ્યા છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ટંકારીઆ તથા પંથકમા આજે વહેલી સવારથી જ ઠંડા પવન હજુ યથાવત છે. આગામી ૫ દિવસ સુધી વાતાવરણ માં અનેક ફેરફારો જોવા મળી શકે છે. કાતિલ ઠંડીને પરિણામે લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરતા જોવા મળી રહ્યા છે. લોકો તાપણાઓ કરી ઠંડી થી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ખુલ્લા આકાશ તળે વસવાટ કરતા શ્રમજીવી લોકો માટે આ ઠંડી ઘાતક બની રહે છે.