Ismail Ibrahim Patel (Khoda)
ઇસ્માઇલ ઇબ્રાહીમ પટેલ (ખોડા)

૦૪/૦૬/૧૯૨૯ – ૧૦/૦૩/૧૯૯૯
રજૂ કર્તા: ઇસ્માઇલ ખૂણાવાલા, લંડન
સબ ઓઢ લેંગે મિટ્ટી કી ચાદર કો એક દિન
દુનિયા કા હર ચરાગ હવા કી નઝર મેં હૈ
□ મુનવ્વર રાના
ટંકારીઆ ગામ પહેલાંથી જેટલું શિક્ષણક્ષેત્રે એટલું જ ક્રિકેટક્ષેત્રે પણ જાણીતું છે. શિક્ષણ અને ક્રિકેટ બેઉ ક્ષેત્રોમાં જેમણે સારી નામના મેળવી હતી તેવા કેટલાક લોકોમાં ઇસ્માઇલ ઇબ્રાહીમ પટેલ (ખોડા)નો સમાવેશ થાય છે. એમનો જન્મ ૪/૬/૧૯૨૯ના રોજ ટંકારીઆ ગામમાં થયો હતો. બાલ્યાવસ્થામાં જ પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી એમની પરવરીશની જવાબદારી એમનાં વાલીદા અને વડીલ બંધુ મરહુમ મુસાભાઇ ઇબ્રાહીમ ખોડાના શિરે આવી પડી હતી. મુસાભાઇએ આ જવાબદારી બરાબર નિભાવી તેમને પ્રથમથી જ સારું શિક્ષણ મળે તેની ભારે તકેદારી રાખી હતી. પ્રાથમિક શિક્ષણ ટંકારીઆ કુમાર શાળામાં મેળવ્યું. ટંકારીઆમાં તે વેળા માધ્યમિક શાળા ન હોવાથી, પરદેશની સફર ખેડવામાં જેટલી મુશ્કેલીઓ વેઠવી પડે એટલી મુશ્કેલીઓ વેઠીને ગામ છોડી હાઇ સ્કૂલમાં આગળ અભ્યાસ કરવા માટે તેઓ વડોદરા ગયા. ત્યાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી લાંબી સફર ખેડી કોલેજમાં ભણવા પ્રથમ વીસનગર, પછી નવસારીની તે સમયની સુવિખ્યાત એસ.બી.ગાર્ડા કોલેજમાં અને છેલ્લે અમદાવાદ જઇ ત્યાંની ફાર્મસી કોલેજમાંથી બી.ફાર્મ.ની ડિગ્રી મેળવી.
બી.ફાર્મ.થઇને નોકરીની શોધમાં મુંબઇનો રસ્તો પકડયો. ત્યાં તે સમયની સીબા અને ગેલેક્ષી જેવી કેટલીક જાણીતી ફાર્મસ્યૂટિકલ કંપનીઓમાં નોકરી કરી. એડનમાં વધારે પગારની નોકરીની તક મળતાં તે સ્વીકારી લીધી અને એડનની સફર ખેડી. અહીં જુદા જુદા શહેરોમાં સેવાઓ આપી, અંતે મસ્કતમાં ઠરીઠામ થયા.પોતાની કર્તવ્યનિષ્ઠાથી જ્યાં પણ ગયા ત્યાં ઉમદા સેવાઓ આપી અને પ્રિય બનીને રહ્યા. છેલ્લે વતન પાછા ફરી પોતાનાં બાળકોની સારસંભાળ અને તાલીમ તર્બિયતમાં સમય લગાવ્યો. ૧૯૭૯–૮૦ માં તેમના યુ.કે. પ્રવાસ દરમિયાન તેઓ મારે ઘરે મુલાકાત કરવા આવ્યા ત્યારે તેમને રૂબરૂ મળવાનો અને તેમને વધુ નિકટથી જોવા–જાણવાનો સુંદર મોકો મળ્યો. વાણીમાં એક શિક્ષિત માણસને શોભે એવો વિવેક, વર્તનમાં સજ્જનતા અને સ્વભાવમાં નમ્રતા– તેમના આ ગુણોથી હું પ્રથમ મુલાકાતે પ્રસન્ન અને પ્રભાવિત થયો હતો. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કે રાજકીય વિષયોની ચર્ચા કરવામાં તેમની પાસેથી ઘણું શીખવાનું મળતું.
કોલેજકાળ દરમિયાન long jump અને spear throwing (ભાલા ફેંક) જેવી રમતોની સ્પર્ધામાં પણ ભાગ લેતા. ઉપરાંત તેઓ એક અચ્છા ક્રિકેટર પણ હતા. ટંકારીઆમાં ૧૯૪૬માં ‘ધ વીનર ક્રિકેટ કલબ’ની સ્થાપના થઇ. ગામલોકોનું કહેવું છે કે ગામમાં એ પહેલાં પણ ઠેઠ ૧૯૨૦–૩૦થી ક્રિકેટ તો રમાતી જ હતી. ઇસ્માઇલ પટેલ ‘ધ વીનર ક્રિકેટ કલબ’ના એક અગ્રગણ્ય સભ્ય અને ઓપનીંગ બેટસમેન તથા બોલર હતા. ૧૯૫૨થી ૧૯૬૦ સુધીનો સમય ટંકારીઆના ક્રિકેટ ઇતિહાસમાં એક યાદગાર સમયગાળો રહ્યો છે. આ સમયે રમાતી મેચોમાં આઇ.આઇ.પટેલ સાથે અબ્દુલહક બંગલાવાલા કે રૂસ્તમ દાદાભાઇ ચોકવાલા રમતની ઓપનીંગ કરતા. ગામના મોટા પાદરના મુખ્ય કિકેટ ગ્રાઉન્ડ પર એમને રમતા નિહાળવાનો એક અનેરો આનંદ હતો. કલબના અન્ય ક્રિકેટરોમાં જનાબ ઇબ્રાહીમભાઇ ડાહ્યા (કેપ્ટન), ગુલામભાઇ સાલેહ, ગુલામભાઇ બોઘા, યુસુફ અલી ભાલોડા, મોહનભાઇ વાણંદ, આદમભાઇ ભરૂચી, ગુલામભાઇ અકુજી બંગલાવાલા તથા ઇબ્રાહીમભાઇ બંગલાવાલાનો સમાવેશ થાય છે. ગામમાં આ સમયે ઘણાં ક્રિકેટરો જોવા મળતા અને મેચો વેળા તો એક ઉત્સવ જેવું ઉલ્લાસમય વાતાવરણ સર્જાતું. ત્યાર પછી ‘ધ ફેમસ કિકેટ કલબ’ની સ્થાપના થઇ. ગુલામભાઇ ભૂતા તલાટી, યાકુબ બાજીભાઇ ભૂતાવાલા, સુલેમાનભાઇ ભૂતા (સોલી), ઇસ્માઇલ મહંમદ માસ્તર ઘોડીવાલા, ઇસ્માઇલ મિયાંજી બંગલાવાલા, આદમભાઇ ભોલા, વલીભાઇ ખંડુ અને વલીભાઇ ઇસ્માઇલ શેઠ આ નવી ક્રિકેટ કલબના હોનહાર ખેલાડીઓ હતા.
શિક્ષિત જીવ એટલે મરહુમ વાંચનનો પણ ઘણો શોખ ધરાવતા હતા. એમણે ઉર્દૂ અને ફારસી સાહિત્યના ગાલીબ, મીર, શેખ સા’દી, ડૉ અલ્લામા ઇકબાલ વગેરેની સાહિત્યિક કૃતિઓનું વાંચન કરેલું હતું જે એમની સાથેના સંપર્ક અને વાર્તાલાપ પરથી સ્પષ્ટ જાણી શકાતું હતું.
લંડનમાં સ્થાયી થયા બાદ ફેબ્રુઆરી ૧૯૯૯માં એમની તબિયતમાં એકાએક કમજોરી અને માંદગીનાં ચિહનો જણાતાં એમને લંડનની ન્યુહામ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હું એમની ખબર લેવા હોસ્પિટલે ગયો ત્યારે ત્યાં એમના ફરજંદ મુશ્તાક, ઇકબાલ અને અન્ય પરિવારજનોની હાજરીમાં એમની સાથે થોડીઘણી વાતચીતનો છેલ્લો મોકો મળ્યો હતો. તબિયત નાદુરુસ્ત હોવા છતાં વાણી વર્તનમાં હજી પણ એજ વિવેક અને વિનમ્રતા વરતાતાં હતાં. ટૂંકી માંદગી ભોગવી માર્ચ ૧૯૯૯માં તેઓ અલ્લાહને પ્યારા થઇ ગયા. ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલયહે રાજેઉન. દફનવિધિ લંડનના ફોરેસ્ટ ગેટ વિસ્તારમાં આવેલ મુસ્લિમ પટેલોના કબ્રસ્તાનમાં પ્લોટ નંબર ૯૮માં કરવામાં આવી.
એમની પૌત્રીઓ તસ્નીમ, સબીહા તથા અસ્માએ પણ દાદાના નકશે કદમ પર ચાલી બી.ફાર્મ. તથા એમ.ફાર્મ.ની ડિગ્રીઓ મેળવી છે અને પોતાના ખાનદાનનું નામ રોશન કરી રહી છે.
મર્હૂમને આજે જ્યારે યાદ કરું છું ત્યારે એમની એક શિક્ષિત અને અત્યંત વિનમ્ર સજ્જન તરીકેની છબી મારી આંખો સામે ઉભરે છે અને આંખો ભરાઇ આવે છે.
કૈસી તરતીબ સે કાગઝ પે ગિરે હૈં આંસુ
એક ભૂલી હુઇ તસ્વીર ઉભર આઇ હૈ
અલ્લાહ પાક મરહુમની મગફેરત ફરમાવે અને તેમને જન્નતુલ ફિરદૌસમાં જગા આપે એવી દુઆ સાથે મારી આ શબ્દાંજલિ પૂરી કરું છું.
TANKARIA WEATHER