Manman Mohmedmatin

ટંકારીઆ ગામનો ઈજનેર જીદ્દાહના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મેઈન સ્ટ્રકચરનું કામ કરતી કંપની (બિનલાદેન ગ્રુપ) માટે અનેરા ઉત્સાહ અને મહેનતથી કામ કરવાનું શરૂ કરે છે. વજનદાર સેફ્ટી બેલ્ટ અને ઇન્સ્પેકશનના સાધનો સાથે તે પોતે જાતે મેનલીફ્ટ ઓપરેટ કરીને એરપોર્ટના દરેક ખૂણામાં દરેક ઊંચાઈ સુધી પહોંચે છે. થયેલા બાંધકામને સ્વીકારવા કે રદ કરવાની અત્યંત મહત્વની સત્તા જેની પાસે છે એ ઈજનેર જ્યારે ઇન્સ્પેકશન કર્યા પછી જમીન પર નીચે આવે છે ત્યારે અસહ્ય ગરમીના લીધે પરસેવે રેબઝેબ હોય છે. જીદ્દાહના વિશાળ અને અત્યંત આધુનિક સુવિધા ધરાવતા એ ભવ્ય એરપોર્ટના દરેક ખૂણામાં ઊભા થયેલા સ્ટ્રક્ચરમાં ટંકારીઆના આ ઈજનેરનો કોઈ ને કોઈ હિસ્સો જરૂર છે. પેસેન્જર ટર્મિનલનો કોઈ એવો ભાગ નથી કે એવો કોઈ બોર્ડિંગ બ્રિજ નથી કે જેમાં આ ઈજનેરે કામ કર્યું ના હોય. (જે બાબતનો હું સાક્ષી છું.)

અમેરિકા, યુરોપ, ચીન, ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, જર્મની, ટર્કી, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા ખંડના દેશો, અને ગલ્ફના દેશો જેવા અનેક દેશોના કર્મચારીઓ પોતાની જવાબદારીના કામો પૂરા થતાં એરપોર્ટ પ્રોજેક્ટમાંથી બધા જ એક પછી એક વિદાય લે છે. એરપોર્ટના બાંધકામનું કામ પૂર્ણ થતાં હવે કંપનીએ એક એવા કાબેલ અને વિશ્વાસુ ઈજનેરની નિમણુંક કરવાની છે જે ઈજનેરનું છેલ્લું કામ એરપોર્ટ પ્રોજેક્ટના રીટેન્શન મની (કોન્ટ્રાકટ મુજબ પ્રોજેક્ટ ઓથોરીટી કેટલીક રકમ કેટલાક સમય સુધી કંપનીને ચૂકવવાની બાકી રાખે છે તે રકમ) પ્રોજેક્ટ ઓથોરીટી પાસેથી મેળવવાનું છે અને એ માટે એ ઈજનેરે પુરવાર કરવાનું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટમાં લખેલા તમામ ધારા-ધોરણ મુજબ કામ પૂર્ણ કરેલ છે. આ એટલો મોટો પ્રોજેક્ટ હતો કે જેના બજેટના આંકડાઓ ગણવા હોય તો બે ત્રણ પ્રયાસો જરૂર કરવા પડે. કંપનીએ આ ખૂબ મહત્વના પ્રોજેક્ટના અત્યંત કઠિન કામ માટે કંપનીના જે એકમાત્ર (છેલ્લા) કર્મચારીની પસંદગી કરી, એ ટંકારીઆ ગામનો ઈજનેર મુહંમદમતીન ડૉ. બશીર મનમન હતો એવું જ્યારે આપણે કોઈને પણ જણાવીશું ત્યારે આપણને ટંકારીઆ ગામ અને ગામના લોકો માટે એક અદ્ભુત માનની લાગણી જરૂર થશે. એરપોર્ટ ઓથોરિટી સાથે કેટલાક વણઉકેલાયેલા પ્રશ્નો અને ત્યાર પછી કોરોના મહામારી જેવા કારણોસર કંપનીએ આ ઇજનેરને આ ખૂબ મોટી જવાબદારીના કામ માટે રોકી રાખવા સતત ત્રણ વર્ષ સુધી કોઈ પણ જાતના કામ કર્યા વગર પુરેપુરો પગાર ચૂકવ્યો છે, જે આ ઈજનેરની કાબેલિયત, ઉપયોગીતા અને તેની પ્રમાણિકતા માટે કંપનીનો એના ઉપરનો અતૂટ વિશ્વાસ બતાવે છે. ધગશ, મહેનત, પ્રમાણિકતા, કંઈ કરી છૂટવાની ઈચ્છા શક્તિ હોય તો તમે કયા ખંડ, ક્યા દેશ, ક્યા શહેર કે ગામના વતની છો, તમારો પહેરવેશ કે તમારી માતૃભાષા કઈ છે એ બધું જ ગૌણ બની જાય છે એવું આ ઇજનેરે પુરવાર કર્યું છે.

દુનિયાના અગત્યના પ્રોજેક્ટ્સમાં (એની કક્ષાના) ચોક્કસ જેની ગણના થાય એવા ગલ્ફના ખૂબ મોટા અને ખૂબ અગત્યના ચાર પ્રોજેક્ટમાં મતીન મનમને કામ કર્યું છે જે ખરેખર એક ધ્યાન ખેંચે એવી બાબત છે. (૧) દુનિયાના અત્યાધુનિક એરપોર્ટમાંનું એક એવું દોહા કતાર એરપોર્ટનું ઓટોમેટિક કાર્ગો ટર્મિનલ અને એરક્રાફટ મેન્ટેનન્સ હેન્ગર્સ જેવા કેટલાક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કરવામાં મતીને ખાસ યોગદાન આપ્યું હતું. (૨) દોહા કતાર એરપોર્ટના અનુભવના આધારે જીદ્દાહના એરપોર્ટ પ્રોજેક્ટમાં કંપનીનો ખાસ વિશ્વાસ જીતવા શરૂઆતથી જ મતીને ખૂબ મહેનત કરી હતી. આ પ્રોજેક્ટમાં મતીને ખૂબ જ અગત્યની જવાબદારી નિભાવી હતી. (3) જીદ્દાહના એરપોર્ટ પ્રોજેક્ટના કામના સમયગાળા દરમિયાન દુનિયાના સૌથી ઊંચા એવા “જીદ્દાહ ટાવરના” ફાઉન્ડેશન બીમના મોડીફીકેશન/ઇન્સ્પેક્શન નું કામ કરવાનો મોકો પણ બીજા ઈજનેરોની સાથે ટંકારીઆ ગામના આ ઇજનેરને મળ્યો હતો. (૪) હાલમાં મતીન મનમન મક્કા શરીફમાં ચાલી રહેલા હરમ એક્સ્ટેન્શન અને હરમ શરીફના એક ભાગમાં બની રહેલા બે હેલીપેડના બાંધકામમાં અત્યંત મહત્વની જવાબદારી નિભાવી રહ્યો છે. આ ચાર ખૂબ અગત્યના પ્રોજેક્ટમાં કામ કરી મતીન મનમને “મન હોય તો માળવે જવાય” અને “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય” જેવી કહેવતો સાર્થક કરી બતાવી છે. ટંકારીઆ ગામના ઈજનેરની આ ખરેખર ધ્યાન ખેંચે એવી ચાર સિદ્ધિ છે.

5 Comments on “Manman Mohmedmatin

  1. અસ્સલામુ અલયકુમ. જનાબ નાસીરભાઈ; આપનો “ટંકારીઆનો ભવ્ય વારસો” હેઠળ લખાયેલ લેખમાળા શ્રેણીનો પ્રારંભિક લેખ જે My Tankaria Website ઉપર પ્રકાશિત અને પ્રસિધ્ધ થયો તે વાંચી અતિ આનંદ થયો. આપે સત્ય અને આધારભૂત વાસ્તવિક હકીકતોના આધારે તૈયાર કરેલ લેખમાં ઘણી રસપ્રદ માહિતી તદુપરાંત વાચકવર્ગને જે ટંકારીઆ રત્નોનો પરિચય કરાવ્યો છે તે ખરેખર પ્રશંસનીય ,આવકારદાયક અને કોટિવાર અભિનંદનને પાત્ર છે. અગાઉ પણ પ્રસ્તુત વેબસાઇટ ઉપર આપનો “ટંકારીઆનો (મુસ્તુફાબાદ) જ્વલંત ઇતિહાસ “ નામે જે લેખ પ્રગટ થયો હતો તે પણ અતિ સુપ્રસિધ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યો હતો. આપની સાહિત્ય સર્જન શક્તિ ઉચ્ચ કોટીની હોવાના કારણે ઝરણું મટી વાચક વૃંદમાં ધોધ વરસાવી રહી છે એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. ભાઈ નાસીરની રસપ્રદ સાહિત્ય સર્જન શક્તિ હમેશાં જીવંત રહે અને સાહિત્ય સાધના અવિરતપણે વહેતી રહે તેમજ આપના વાચકોને વધુ સર્જનાત્મક લેખન કળાનો આસ્વાદ મળતો રહે એવી દીલી અભિલાષા રાખું છું. ટંકારીઆની મઘમઘતી માટીમાંથી મુહંમદમતીન મનમન જેવા અનેકાનેક અમૂલ્ય રત્નોનો વાચકોને પરિચય કરાવતા રહો એવી અપેક્ષા સહ અલ્લાહપાક પાસે દીલી દુઆ કરુંછું અને મતીન જેવા અન્ય નભતારલાઓ આપની લેખમાળામાં પ્રકાશિત થઈ વ્યોમવિહાર કરતા રહે!

    આપનું ગુજરાતી ભાષા ઉપરનું પ્રભુત્વ સંકેત કરે છે કે આપ ભાષાના શબ્દ સ્વામી છો માટે જ ભાષા અને શૈલી અલંકારિક તેમજ સરળ હોવાના કારણે વાચકવર્ગના હ્દય દ્રાર સુધી અસરકારક રીતે પહોંચી જાય છે. અન્ય સાહિત્ય સર્જકોની તુલનામાં આપે એક નવી જ સર્જનાત્મક અને પ્રયોગશીલ કેડી કંડારી ટંકારીઆના ઇતિહાસને નૂતન આધારસ્તંભ આપ્યો છે.

    હું જાણું છું કે આપનું સામાજિક જીવન ઘણું વ્યસ્ત હોવા છતાં આપ થોડો સમય બચાવી ગામ માટે જે સમાજ સેવા તદુપરાંત સંશોધનાત્મક ઐતિહાસિક પુરાવાઓના સંદર્ભ થકી જે લેખો તૈયાર કરો છો તે ખરેખર પ્રશંસનીય અને કોટિવાર મુબારકબાદીને પાત્ર છે. અલ્લાહપાક આપની કલમને વધુ સશક્ત બનાવે અને ટંકારીઆ માટેનું આપનું અમૂલ્ય યોગદાન આખેરતમાં જઝાએ ખૈરનુ નિમિત્ત બની રહે એવી દુઆ સહ પુન: કોટિવાર અભિનંદન પાઠવું છું.

    અંતમાં આ લેખમાળાને ક્રમશ: પ્રસિધ્ધ અને પ્રકાશિત કરવા બદલ My Tankaria Website ના જનેતા અને પ્રણેતા જનાબ મુસ્તાકભાઈ દોલા સાહેબને સહ્દય પૂર્વક અભિનંદન પાઠવું છું. એઓશ્રીનું માર્ગદર્શન અને સહયોગ ન મળ્યો હોત તો કદાચ આપણે સહુ ટંકારવીઓ અને અન્ય વાચકો લાભાંવિત ન થઈ શક્યા હોત. આપણને ટંકારીઆના જે દૈનિક સમાચારો મળતા રહે છે કવચિત જ અન્ય માધ્યમ દ્રારા પ્રાપ્ત થઈ શક્યા હોત !
    Hats off to Mustaqbhai Dola!!!

    આપનો દુઆગો અને શુભેચ્છક
    ઈસ્માઈલ સાહેબ ખુણાવાલા ; લંડન.

  2. Alhamdulillah. Thanks to everyone for the appreciation and good wishes. Special Thanks to Sir Nasirhusen Lotiya who guide and support me for my career since my study in secondary school upto now. By the grace of Allah Subhanahu wa Ta’ala and dua from my elders I am working at the holly Masjid-e-Haram at Makkah. I am getting continuous guidance and support of Sir Nasihusen Lotiya. Thanks to all for your messages.

  3. MashaAllah very true. દરેક બાબતમાં સચ્ચાઈ છે અને સાચી હકીકતો આધારીત લખાયેલ છે. આજે મને ગર્વ થાય છે Mr. Nasir Hussain Lotiya અને Mr.Matin Manman જે મારા ખુબ સારા મિત્રો છે, જીદ્દાહમાં જ્યારે પણ મારે એમની જરૂર પડી હશે તેઓ મારી પાસે આવીને ઉભા થઈ ગયા છે. આજે જ્યારે એમનો ઝિક્ર થયો છે ત્યારે દિલમાંથી ખરેખર દુઆ નીકળે છે. અલ્લાહ તઆલા એમને બન્નેને સલામતી ની સાથે બન્ને જહાનમાં કામયાબી આપે. આમીન.

  4. Ma Sha Allah, very interesting and inspirational, brother Matin Manman has really made the whole village proud of.
    Hope young generation will benefit from him.

    Jazakallah to brother Nasir for writing such an interesting story.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*