Dr Girjaprasad Shankarprasad Shukla
Dr Shukla

Born: 3 August 1926 – Died: 11 January 2001
(Dates and photos provided by his son Dr Dhruv Shukla)
The great Dr Shukla was a humble, gentle, loving and caring physician who dedicated his entire professional life for the well-being of Tankaria’s villagers.
Dr Shukla had to finally retire and leave the village to spend his remaining life with his family, but he was loved so much by the villagers that when he left, the villagers gathered in the centre of the village with tears in their eyes. Dr Shukla also had tears in his eyes. He was dearly loved, so much so that if it was in their hands, the people of Tankaria would never have let him go.
In a time when transportation was a challenge and medical facilities in nearby cities were not even close to today’s standards, together with a lack of medical supplies and pharmacies, you can only begin to imagine how difficult it was for any person suffering from illness or injury. People still remember Dr Shukla and Ismail Adam Gajjar visiting an ill person on a rainy night.
While we remember Dr Shukla today, we would also like to thank his beloved wife Shardaben and the rest of his family. They are the unsung heroes of the story.
Dr Shukla is no longer with us today. He passed away on 11 January 2001, but he will always be in the memories of Tankarvis forever.
ડૉકટર શુકલ

રજૂકર્તા: ઉમર ફારૂક ચામડ ટંકારવી
આપણા ગામમાં એક ઓલિયા સિફત ડૉકટર શુકલ આવી ગયા. તેમની સેવાઓથી અનેક લોકો પરિચિત છે. વીસમી સદીમાં આવા પરગજુ ડૉકટરો ઘણાં ઓછા હશે. એમના વિષે એક પ્રસંગ સાંભળેલો.
ગામના મોટા ભીલવાડામાં ચોમાસામાં એક આદિવાસી ઓરતને સુવાવડનું દર્દ ઉપડયું. ખબર મળતાં વરસતા વરસાદમાં ડૉ શુકલ અડધી રાતે એની ઝૂંપડીમાં પહોંચી ગયા. અંધારી રાત, ચાલુ વરસાદ, નિ:સહાય ગરીબ ઓરત, દારૂણ ગરીબી. ડૉકટર શુકલે જાતે પેલી ઝૂંપડીનો ચૂલો કરાંઠીઓ ભાંગીને સળગાવ્યો. પાણી ગરમ કર્યું. જરૂરી ઇંજેકશનો પેલી દર્દથી કણસતી ઓરતને આપ્યાં. પછી ઝૂંપડીની બહાર મરઘીઓના ખોખાં પર બેઠા. પેલી ઓરતને ડિલિવરી થઇ, પછી ઘેર આવ્યા.
આજે ડૉ શુકલ હયાત નથી. આપણા ગામમાં એમનો વિદાય સમારંભ યોજાયેલો. હું પણ એ પ્રસંગે હાજર હતો. એ પ્રસંગે એમને વિદાયમાન આપતાં કોક ભાઇ બોલેલા:
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર
ટંકારીઆના લોકો હંમેશાં આવા સેવાભાવી, નિરભિમાની મહામાનવને યાદ કરશે.
…………………………………………………………………………………………………………………………………………………………….
ડૉ. ગિરજાપ્રસાદ શંકરપ્રસાદ શુકલ (MBBS)
રજૂકર્તા: નાસીરહુસેન લોટીયા
૦૩ ઓગસ્ટ ૧૯૨૮ના દિવસે ગણદેવીમાં જન્મેલા, ૧૯૫૩-૫૪થી ૧૯૯૭ સુધી એટલેકે લગભગ ૪૪ વર્ષો સુધી પોતાના જીવનનો મોટો ભાગ ટંકારીઆ અને આસપાસના વિસ્તારના લોકોની સેવામાં સહર્ષ સમર્પિત કરનાર, મિલનસાર સ્વભાવ અને સાદગીના પ્રતીક, કર્તવ્યપરાયણતાની અજોડ મિસાલ એવા માયાળુ ડૉકટર એટલે આપણા શુકલ સાહેબ.
સરકારી દવાખાનાની એમની સેવા નિવૃત્તિ પછી પણ તેઓ ટંકારીઆ ગામમાં જ રહ્યા અને ગામમાં ખાનગી ક્લિનિક શરૂ કરી ૧૯૯૭ સુધી ટંકારીઆ અને આજુબાજુના ગામના લોકોની તેમણે ભરપૂર સેવા કરેલી. દર્દીઓ પોતાના ક્રમ આવે ત્યાં સુધી ઊંચે ખુરશીઓ પર બેઠા હોય અને ઉત્સુકતાથી સાહેબની વાતો સાંભળતા હોય, શુકલ સાહેબ સુતરાવ કાપડના પોતાની અનોખી પસંદગીના વિશિષ્ટ પરિધાનમાં સજ્જ થઈને પી.વી.સી.ના પાતળા કાર્પેટ પર નીચે જમીન પર પલાંઠી વાળી દર્દીઓને તપાસી દવા આપતા હોય, એમની આજુબાજુ શારદાબેન અને ઈસ્માઈલ મામા ગજ્જર પણ બેઠા હોય; એ દ્રશ્ય ગામના લોકો આજે પણ ભૂલ્યા નથી.
ડૉ. ગિરજાપ્રસાદ શંકરપ્રસાદ શુકલ વિષે લખાણ લખવું હોય તો પુસ્તકના કેટલાય પાના ભરાય તો પણ ઓછા પડે છતાં કેટલાક પ્રસંગોનો અહીં ઉલ્લેખ કરું છું. ૧૯૬૯-૭૦ ના ગાળામાં મારા પિતાશ્રીએ મને એમના એક મિત્રના ઘરે જઈ લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’ લઈ આવવા કહ્યું. સખત વરસાદનું વાતાવરણ હતું એટલે પગ ભીના હોવાથી અને લાકડાનો દાદર પણ ભીનો હોવાથી દાદરના ઉપરના પહેલા પગથિયેથી હું નીચે પડી ગયો. ડૉ. શુકલ સાહેબ પાસે મને લઈ ગયા એટલે એમણે એમના આગવા અંદાજમાં કહ્યું કે “ બે-ત્રણ વખત તમારે વડોદરા શહેરમાં ફરવા જવાનું થઈ ગયું છે.” મારો હાથ ખભામાંથી ભાંગી ગયો હતો. સતત વરસાદના કારણે ઘોડાગાડી ટંકારીઆથી અડોલ સુધી જતી પરંતુ અડોલ પછીનો રસ્તો ઘોડાગાડીઓના સતત ચાલવાથી એટલો ખરાબ થઈ ગયેલો કે ઘોડાગાડીઓ આગળ જઈ શકે એમ ન હતી. ખભો ભાગી જવાથી ખૂબ દર્દ થતું હતું એટલે મારાથી ચાલી શકાય એમ ન હતું. મગનભાઈ ઘણા વર્ષોથી અમારા ઘરના ખેતીકામ સાથે જોડાયેલા અને ઘરના માણસ જેવા, એટલે તેઓ અડોલથી વરેડિયા સુધી મને ખભે ઉંચકીને લઇ જવામાં મારા વાલીદ સાહેબની મદદ કરતા. ધોધમાર વરસતા વરસાદમાં સાંજે અમે પરત ફર્યા અને ઘરે પહોચ્યાં એટલે શુકલ સાહેબ એમના આગવા અંદાજમાં હાથમાં ટોર્ચ લઈ ધોધમાર વરસતા વરસાદની હેલીમાં પણ છત્રી લઈ એમની દર્દીઓની મુલાકાતના નિત્યક્રમ અનુસાર મારા ઘરે આવ્યા અને મને તથા મારા કુટુંબીજનોને ખાસ સંભાળ લેવાની તાકીદ કરી ગયા. દરેક ઋતુમાં ખાસ કરીને રાત્રીના સમયે દર્દીઓની ઘરે જઈ મુલાકાત લેવાની શુકલ સાહેબની સેવા એ ભૂલી ન શકાય એવી અમૂલ્ય અને અજોડ સેવા હતી.
શુકલ સાહેબ બાલા કુટુંબના મકાનમાં રહેતા હતા અને એ જ ઘરમાં એમની ખાનગી ક્લિનિક પણ ચાલતી હતી. મારા બાળપણના સમયગાળામાં મારા શરીરનો બાંધો સુકલકડી જેવો. મારા દાદીની દવા લેવા કોઈ વખત એમના ક્લિનિકમાં જવાનું થાય ત્યારે એમના દરવાજામાં દાખલ થતાં જ “આવી ગયા, પાપડતોડ પહેલવાન” એ વાક્ય સાહેબ બોલે અને એમના અનેરા અંદાજમાં આવકાર આપે. જેટલા દર્દીઓ બેઠા હોય એ બધા આ શબ્દો સાંભળે અને પછી મને જુએ એટલે પોતાનું હાસ્ય રોકી ના શકે. આ મજાકના શબ્દો મેં તો અનેક વખત સાંભળ્યા હશે છતાં મને પણ દરેક વખતે હસવું આવે. તે સમયે શુકલ સાહેબે મને મગફળી ખાવાની ખાસ સલાહ આપી હતી. રમઝાન મહિનામાં ઇફતારી પછી ખાંસીની શિકાયત સાથે દવા લેવા આવતા દર્દીઓને સાહેબ પોતાના માર્મિક અંદાજમાં કહેતા ” જો ભજીયા, સમોસા અને પાપડી ખાવાનું ફર્ઝ કે વાજીબ હોય તો જ ખાવા.” દર્દીઓ પોતાની બીમારી જ ભૂલી જાય એટલું બધું હળવું વાતાવરણ એમની ક્લિનિકમાં હંમેશાં રહેતું.
સવારમાં ગુજરાતમિત્ર પેપર આવે એટલે બધા દર્દીઓ પણ જાણે કે હવે શુકલ સાહેબ ૨-૩ મીનીટનો વિરામ લેશે. સાહેબ ક્રોસવર્ડ પઝલના શબ્દો ફટાફટ ભરી દેતા અને આ પઝલ ભરતા હોય ત્યારે એટલા અવાજથી બોલતા કે આજુબાજુ બેઠેલા ગુજરાતી ભાષાના રસિકો પણ એ સાંભળતા. ગુજરાતી ભાષાનું એમનું જ્ઞાન પણ ખૂબ સારું હતું.
એકવાર શુકલ સાહેબે અને શારદાબેને મારા માસીને મારા માં સાથે ભરૂચ ડેપોમાં અનાયાસે જોયા હશે ત્યારે ભરૂચમાં રહેતા મારા માસીના હાથમાં એક થેલી હતી જેમાં સફાઈ કરવાનું ઝાડુ સાહેબે જોયું હશે. ઘણા વર્ષો પછી, જ્યારે મારા એ માસી ટંકારીઆ આવ્યા ત્યારે બીમાર થઈ જવાથી મારી સાથે એમની ક્લિનિકમાં અમે ગયા ત્યારે, મારા માસીને જોઈને તરત સાહેબે કહ્યું, “આ તો પેલા ઝાડુવાળા માસી.” મારા માસી ખડખડાટ હસવા માંડ્યા. મને કંઈ સમજ ન પડી, એટલે ઘરે આવીને માસીને પૂછતાં એમણે વિગતે વાત કરી કે ૮-૧૦ વર્ષો પહેલાંની વાત પણ સાહેબને હજુ યાદ છે. આપણા કોઈ સગા સબંધી સાથે એકાદવાર પણ મુલાકાત થઈ હોય તો પણ શુકલ સાહેબને એ યાદ રહેતું એટલી સારી એમની યાદશક્તિ હતી. સચોટ નિદાન અને મનોવૈજ્ઞાનિક (psychological) ટ્રીટમેન્ટ કરવામાં શુકલ સાહેબ ખરેખર નિષ્ણાત હતા. છેલ્લે ૧૯૯૭માં ટંકારીઆ ગામ છોડીને એમના પુત્રો સાથે વલસાડ રહેવા ગયા ત્યાં સુધી દર્દીને તપાસીને એક દિવસની દવાની ફી માત્ર બે રૂપિયા હતી.
અમે શાળાના વિદ્યાર્થીઓ ભેગા બેઠા હોય અને શુકલ સાહેબ રસ્તામાંથી પસાર થાય તો આ વખતે ૧ થી ૩ નંબરે કોણ કોણ પાસ થયું? ગણિત, વિજ્ઞાનમાં કોના માર્ક્સ વધારે આવ્યા એમ પૂછતા અને વિદ્યાર્થીઓને આ રીતે પ્રોત્સાહન પણ આપતા. ઘણા વર્ષો પહેલા ગજ્જર ઈસ્માઈલ મામા બીમાર હતા ત્યારે નડિયાદની હોસ્પિટલમાં અમે બધા મિત્રો એમની મુલાકાત માટે ગયા હતા. મુલાકાત લઈને પરત ફર્યા ત્યારે શુકલ સાહેબ અને શારદાબેન પણ ઈસ્માઈલ મામાની મુલાકાત લઈ રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈને ઉભા હતા. અમોને પ્લેટફોર્મ પર એમણે જોયા હશે એટલે શુકલ સાહેબ અને શારદાબેન તરત અમારી પાસે આવ્યા અને અમોને પૂછ્યું “તમે બધાએ નડિયાદનું ‘ટમટમ’ લીધું?” એટલે અમે ના પાડી, તો કહે “તમે નડીયાદ આવ્યા અને ટમટમ લીધા વગર પાછા જાવ એ બરાબર નથી.” એમણે અમને દુકાનનો રસ્તો બતાવી કહ્યું કે જાઓ હજુ ટ્રેન આવવાને ઘણો સમય બાકી છે એટલે શુકલ સાહેબે કહ્યું એ દુકાને જઈ અમે ‘ટમટમ’ લઈ આવ્યા. તે સમયથી જયારે પણ કોઈ મિત્ર નડીયાદ જાય છે ત્યારે અમે મિત્રો નડિયાદનું સ્વાદિષ્ટ ‘ટમટમ’ જરૂર મંગાવીએ છીએ. નાના મોટા દરેક સાથે પ્રસંગને અને વ્યક્તિઓને અનુરૂપ હોય એવી વાતો કરવાનો એમનો એ વિશિષ્ટ અંદાજ હંમેશાં યાદ રહે એવો હતો.
ગામના લોકો અને શુકલ સાહેબ વચ્ચે ગજબની આત્મીયતા હતી. શુદ્ધ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા શુકલ સાહેબને ટંકારીઆના લોકો દિલથી ચાહતા હતા અને શુકલ સાહેબ પણ ટંકારીઆના લોકોને દિલથી ચાહતા હતા, એવું ગામના લોકોની અને શુકલ સાહેબની વાણી અને આપસી વર્તનથી સાબિત થતું હતું.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાંના વિચાર દે.
– મરીઝ
TANKARIA WEATHER